પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘરમાં માછીમારનું નસીબ રાતોરાત બદલાઈ ગયું અને હવે તે કરોડપતિ બની ગયો છે. પાલઘરના ચંદ્રકાંત તરે પોતાના સાત સાથીઓ સાથે દરિયામાં માછલી પકડવા ગયો હતો. જ્યારે આ લોકોએ સમુદ્રમાં જાળ નાખી તો સી ગોલ્ડ કહેવાતી દુર્લભ ઘોલ માછલીઓ જાળમાં ફસાઈ હતી.
ચંદ્રકાંતનું નસીબ એટલું સારું હતું કે તેની જાળમાં એક કે બે નહીં, પરંતુ પૂરી 157 ઘોલ માછલીઓ ફસાઈ ગઈ હતી. આ માછલીઓ 1.33 કરોડ રૂપિયામાં વેચાઈ છે. માછલીઓની હરાજી પાલઘરના મુર્બેમાં થયું હતું. ચંદ્રકાંતના દીકરા સોમનાથે દરેક માછલીને 85 હજારમાં વેચી હતી.
સમુદ્ર તટથી 20-25 નોટિકલ માઇલની અંદર સી ગોલ્ડ મળીઃ સોમનાથે કહ્યું હતું કે તે સાત લોકોની સાથે હારબા દેવી નામની હોડી લઈને દરિયામાં 20-25 નોટિકલ માઇલ અંદર વાધવાન તરફ ગયો હતો. આ દરમિયાન તેના પિતાએ સમુદ્રમાં ફેંકેલી જાળમાં 157 ઘોલ માછલીઓ ફસાઈ હતી. આ સાથે જ હોડીમાં રહેલા તમામ લોકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી, કારણ કે આ ટ્રિપ તેમના જીવનની સૌથી વધુ કમાણી કરનાર ટ્રિપ બની ગઈ હતી.
દવા-કોસ્મેટિક્સમાં ઉપયોગ થાય છેઃ ઘોલ માછલીનું વૈજ્ઞાનિક નામ ‘Protonibea Diacanthus’ છે, જેને સી ગોલ્ડ કહેવામાં આવે છે. માછલીનો ઉપયોગ દવા તથા કોસ્મેટિક્સ બનાવવામાં થાય છે. થાઇલેન્ડ, ઇન્ડોનેશિય, જાપાન સિંગાપોર જેવા દેશમાં આ માછલીની ઘણી જ ડિમાન્ડ છે. સર્જરી દરમિયાન ઉપયોગમાં લેવાતા દોરા આ માછલીમાંથી બનાવવામાં આવે છે. આ દોરાથી ટાંકા લેવામાં આવે તો તે થોડાં સમયમાં જ શરીરની અંદર ઓગળી જાય છે.
યુપી-બિહારના વેપારીઓએ ખરીદીઃ દરિયામાં પ્રદૂષણ વધી જવાથી માછલીઓ કિનારા આગળ મળતી નથી અને તેથી જ માછીમાર સમુદ્રની અંદર સુધી જાય છે. સોમનાથે કહ્યું હતું કે આ માછલીઓને બિહાર તથા ઉત્તર પ્રદેશના વેપારીઓએ ખરીદી હતી.