અમદાવાદ: સરકારી બસના કંડક્ટરને લાલચ ભારે પડી ગઈ હતી. એક પેસેન્જરને ટીકિટ આપ્યા વગર જ 9 રૂપિયા લઈ લેતાં પગારમાંથી લગભગ 15 લાખ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન (GSRTC)એ કંડક્ટર સામે શિસ્તહેતુક કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે જ દંડરૂપે તેનો પે સ્કેલ હાલના કરતાં બે સ્ટેપ ઘટાડી નાખવામાં આવ્યો છે. એટલું જ નહીં GSRTCએ તેની બાકીની સર્વિસ કાયમી કર્મચારી તરીકે ફિક્સ પગાર પર રહેશે તેવું ફરમાન આપવામાં આવ્યું છે.
ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યૂનલ અને ગુજરાત હાઈકોર્ટે કંડક્ટરની અરજી ફગાવી દીધી હતી અને તેની આ સજા યોગ્ય ઠેરવી હતી. GSRTCના મતે, અગાઉ 35 વખત તપાસ કરી તે વખતે આ કંડક્ટર પાસેથી બેહિસાબી રૂપિયા મળી આવ્યા હતાં. આ કેસની વાત કરવામાં આવે તો, ચંદ્રકાન્ત પટેલ ચીખલીથી અંબાચ ગામ વચ્ચે દોડતી બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. 5 જુલાઈ 2003ના રોજ કુડવેલ ગામ પાસે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે સમયે ઈન્સ્પેક્ટરને બસમાં એકને બાદ કરતાં તમામ મુસાફરો પાસેથી ટીકિટ મળી હતી. પેસેન્જરે કહ્યું હતું કે, તેણે 9 રૂપિયા આપ્યા હતાં પરંતુ કંડક્ટરે તેને ટીકિટ આપી ન હતી.
એક મહિના બાદ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પેસેન્જર ટીકિટ સાથે પહોંચ્યો હતો. આ એ જ સીરીઝની ટીકિટ હતી જે ચંદ્રકાન્ત પટેલે ચેકિંગ દરમિયાન આપી હતી. જોકે, તપાસ બાદ કંડક્ટર ચંદ્રકાન્ત પટેલ દોષી સાબિત થતાં પગારમાં ઘટાડો કરવાની સજા સંભળાવવામાં આવી હતી. ત્યાર બાદ ચંદ્રકાન્ત પટેલે નવસારીમાં ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યૂનલ અને ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતાં. ચંદ્રકાન્ત પટેલની 37 વર્ષની સર્વિસ બાકી છે અને તેમને કાયમી ફિક્સ પગાર પર મૂકવાથી પગારમાં 15 લાખનું નુકસાન થશે.
કંડક્ટરની દલીલો સામે GSRTCના વકીલે કોર્ટને માહિતી આપી કે અગાઉ ઓછામાં ઓછી 35 વખત ચંદ્રકાન્ત પટેલ આ રીતે પકડાઈ ચૂક્યા છે. એ વખતે તેમને માત્ર ચેતવણી આપીને અને સામાન્ય દંડ લઈને છોડી મૂકાયા હતા. કંડક્ટરે સતત આચરેલા દુરાચારને પગલે ડિપાર્ટમેન્ટે તેનો પગાર ઘટાડીને કાયમી ધોરણે ફિક્સ પગાર આપવાનો નિર્ણય કર્યો છે. કેસની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચંદ્રકાન્ત પટેલની અરજી ફેબ્રુઆરીમાં ફગાવી દીધી હતી.