ગાંધીનગર: અરબી સમુદ્રમાં વેરાવળથી અંદાજે 400 કિલોમીટર જેટલું દૂર કેન્દ્રિત થયેલું વાવાઝોડું ‘વાયુ’ 165 કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 12મી જૂને એટલે આજે રાતે અથવા 13મીના વહેલી સવારે વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકશે તેવી શક્યતા છે.
વાયુ વાવાઝોડાના લઈને સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લામાં NDRF અને આર્મીની ટીમ તૈનાત કરી દેવાઈ છે. ‘વાયુ’ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત દીવને પણ અસર પહોંચશે તેવું હવામાન વિભાગે કહ્યું છે.
વાયુ વાવાઝોડાના પગલે હાલ દક્ષિણ ગુજરાત, દીવ અને સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના બાકીના વિસ્તારમાં છાંટા પડ્યા હતો જ્યારે અન્ય જગ્યાએ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.