અમદાવાદ: અમદાવાદનાં સત્તાધાર ચાર રસ્તા પાસે આવેલા ડોમિનોઝ પિઝામાંથી મંગાવેલા પિઝામાં જીવડું આવતાં મ્યુનિ. હેલ્થ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ મોડી સાંજે તેને સીલ કરી દેવામાં આવ્યું હતું.
આ વિવાદને પગલે શુક્રવારે હેલ્થ વિભાગે ચકાસણી દરમિયાન રસોડામાં સ્વચ્છતા અંગેના જરૂરી નીતિ નિયમોનું પાલન ન થતું જોવા મળતાં કુલ 27 ખાદ્યપદાર્થોનાં એકમોને નોટિસ ફટકારાઈ હતી. જેમાં 47 હજાર રૂપિયાથી વધારેનો દંડ વસુલવામાં આવ્યો છે.
આ અંગે હેલ્થ અધિકારી ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, ડોમિનોઝ પિઝાને સીલ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં હોટલ-રેસ્ટોરન્ટના ફૂડમાં વંદા નીકળવાના બનાવોને પગલે સફાળા જાગેલા તંત્રએ શુક્રવારે વધુ 34 હોટેલ-રેસ્ટોરન્ટની તપાસ કરી 27 એકમોને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત 87 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કરી 47,500નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો. 3 નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.
મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા મણિનગરનાં ઓનેસ્ટના ઢોંસામાંથી તેમજ ડ્રાઈવિંગ રોડ પરની સંકલ્પ હોટલનાં ઈડલી-સંભારમાંથી વંદા નીકળવાની ઘટના પણ સામે આવી હતી. ત્યાર બાદ શુક્રવારે સત્તાધાર ચાર રસ્તા પાસેના ડોમિનોઝ પિઝાના આઉટલેટમાંથી ઓર્ડર કરાયેલા પિઝામાંથી જીવાત નીકળવાના મામલે મ્યુનિ.તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરીને તેને સીલ મારી દેવાયું હતું.