ભરૂચ: ગણેશ ઉત્સવને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભરૂચમાં પણ ગણેશ ઉત્સવની તાડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હતી જોકે એક ધ્રુજાવી દે તેવી ઘટના બની હતી. વિઘ્નહર્તાને ઉત્સાહભેર આંગણે પધારવા લેવા જતાં પહેલાં જ સાત યુવાનો પર ‘વિઘ્ન’ આવી પડ્યું હતું જેમાં 2 યુવાનોનાં મોત થયા હતા જ્યારે પાંચને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતાં.
ભરૂચના નેશનલ હાઈવે પાસે આદર્શ માર્કેટ પાસે ગણેશ મંડળના યુવાનો ઉત્સાહભેર ગણેશજીની ઊંચી પ્રતિમા લારીમાં લઈને આવી રહ્યા હતા તે દરમિયાન ગણેશજીની પ્રતિમાને રસ્તા ઉપર જતો વાયર અડકાતા યુવાનોએ વીજ તારને ઊંચો કરવા એક વાંસનો ઉપયોગ કર્યો હતો.
જેવો વાંસથી તાર ઊંચો કર્યો એવો તરત જ તે વાંસને પકડીને ઉભેલા સાતે યુવાનોના શરીરમાં કરંટ ફેલાઈ ગયો હતો અને કરંટનો ઝાટકો મારતાં યુવાનો રસ્તા પર પછડાઈને તરફડિયા મારી રહ્યા હતાં. આ દ્રશ્ય જોઈ ભલભલા રૂંવાડા ઉભા થઈ જાય તેવું હતું.
આ સમયે અન્ય યુવાનો પણ તેમની સાથે હતા. તાત્કાલિક લોકોએ તેમને બચાવવા માટે હાથેથી તેમની છાતી દબાવીને તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તમામ યુવાનો બેહોશ અવસ્થામાં પડ્યા હતા. અન્ય યુવાનો અને સ્થાનિકોએ ભેગા થઈ કારમાં તેમને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતાં. જોકે અહીં ડોક્ટરોએ બે યુવાનોને મૃત જાહેર કર્યાં જ્યારે પાંચ યુવાનોની સારવાર ચાલી રહી છે.