અમદાવાદ: ગઈ કાલે મોડી રાતે ભારે પવન અને વીજળીના કડાકા સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં સરખેજમાં 25 મીનિટમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. અચાનક વરસાદ તુટી પડતાં અમદાવાદીઓને ઘરે દોડવાનો વારો આવ્યો હતો. અમદાવાદમાં 1 કલાકમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ગુરુવારની મોડી રાતે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ભારે વરસાદના કારણે અમદાવાદીઓને મુશ્કેલી પડી હતી. જ્યારે વરસાદના કારણે અનેક જગ્યાએ ટ્રાફિકજામ પણ જોવા મળ્યો હતો.
અચાનક ખાબકેલા વરસાદથી અખબારનગર અને શાહીબાગ અંડરપાસ બંધ કરી દેવાયા હતાં. 100થી વધુ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતાં જ્યારે ત્રણ સ્થળે વૃક્ષ તૂટી પડ્યા હતા. રાણીપ સહિત કેટલાંક વિસ્તારમાં નવરાત્રી માટે બાંધવામાં આવેલા મંડપ પણ ઉડી ગયા હતા તેવું જાણવા મળ્યું હતું. આનંદનગર, જોધપુર, વેજલપુર, જીવરાજપાર્ક, હેલ્મેટ સર્કલ, નિકોલ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તાર પાણી ભરાતા બેટમાં ફેરવાઈ ગયા હતા.
અમદાવાદના સરખેજમાં 4 ઈંચ, દૂધેશ્વરમાં 2.25 ઈંચ, મેમ્કોમાં 2 ઈંચ, બોડકદેવામાં 2 1.5 ઈંચ, રાણીપ-ઉસ્માપુર-ચાંદખેડા-ગોતામાં 1.5 ઈંચ, કોતરપુરમાં 1.25 ઈંચ, વટવામાં 1.25 ઈંચ, નરોડા 1 ઈંચ અને પાલડી 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.