અમદાવાદઃ નવરાત્રીના હવે 4 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે નવરાત્રીમાં જ વરસાદની આગાહી કરી છે. વરસાદ આ વખતે નવરાત્રી બગાડશે તેવી પૂરે-પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, નવરાત્રીના શરૂઆતના દિવસોમાં ગુજરાતનાં કેટલાંક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થશે.
IMD ગુજરાતના રિજનલ ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, ચોમાસું પરત ખેંચાય તેવા કોઈ જ સંકેત જોવા મળી રહ્યા નથી અને તેથી જ ગુજરાતના કેટલાંક ભાગોમાં નવરાત્રીના શરૂઆતના દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.
IMDએ પોતાની આગાહીમાં ગુજરાતના લગભગ તમામ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવસારી અને વલસાડના જિલ્લાઓમાં ગુરૂવારે જ્યારે બનાસકાંઠા, ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં શુક્રવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
IMDની વેબસાઈટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દક્ષિણ રાજસ્થાન અને પાડોશી વિસ્તારમાં સાઈક્લોન સરક્યુલેશન સર્જાયું છે. ઉત્તર-પૂર્વ અને પૂર્વ-મધ્યમ અરબ સાગર પર જોવા મળી રહેલું ચક્રવાતી તોફાન હિકા પશ્ચિમ તરફ આગળ વધ્યું છે.