અમદાવાદ: લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી ત્યાર બાદ કોંગ્રેસમાંથી રાજીનામાં પડી રહ્યાં છે જેને લઈને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, જો ગુજરાત કોંગ્રેસનો કોઈ ઘારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માંગતો હોય તો તે કોંગ્રેસના નેતૃત્વને જાણ કરે કોંગ્રેસનું નેતૃત્વ તેને બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે વળાવવામાં આવશે.
આ નિવેદન ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધનાણીએ આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગદ્દારોને કાઢીને કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા સૌ ધારાસભ્યો મક્કમ છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ્દ કરવા માંગ કરી છે.
પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, સંકલન અંગે બેઠક મળી હતી. કોંગ્રેસ જનતાના જનાદેશનો સ્વીકાર કરે છે. જનતાના જનાદેશ અંગે ધારાસભ્યોના અભિપ્રાય લીધા છે અને ધારાસભ્યોને સાંભળવામાં આવ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય અને કેન્દ્રમાં ભાજપનું શાસન હોવા છતાં ગુજરાતના પ્રશ્નો પડતર છે.
આર્થિક મંદી, ખેતી, બેરોજગારીના પ્રશ્નો કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કામ વધુ અસરકારક કરશે. સરકાર લોકોને સાંભળવામાં નિષ્ફળ નીવડી. આંદોલનના અધિકારને ખતમ કરી દેવામાં આવ્યો. સરકાર બહુમતીના જોરે વિપક્ષને દબાવે છે પણ કોંગ્રેસ વિધાનસભામાં રણછોડ નહીં બને.