વિસનગરઃ વડનગરના મૌલીપુર ગામમાં શનિવારે સાડા ત્રણ વર્ષના એક બાળકની અપહરણ બાદ હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનારા બાળકના કૌટુંબિક કાકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો અને કબૂલ્યું હતું કે તેણે પોતાના દૂબળા-પાતળા બાળકની સરખામણીએ ભત્રીજો તંદુરસ્ત હોવાથી ઈર્ષા થતી હતી જેના કારણે મેં હત્યા કરી હતી.
મૌલીપુર ગામે ગત શનિવારે ઘરના આંગણામા રમતા ગૂમ થયેલા અશદઅલી શેરઅલી મોમીનના સાડા ત્રણ વર્ષના પુત્ર મહંમદ અખલાકની શોધખોર દરમિયાન બીજા દિવસે સામેના મકાનની પાછળની દિવાલ નજીકથી તેની દુર્ગધ મારતી ફુલી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
જે દિવાલ પાસેથી મૃતદેહ મળ્યો તે મકાનના માલિક અકબરઅલી કમરઅલી શંકાના દાયરામાં હતો. પોલીસ પુછપરછમાં અકબરઅલીએ મહંમદ અખલાકને બિસ્કીટ અને વેફરના બહાને પોતાના ઘરમાં લઈ જઈ પાણીની ટાંકીમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી.