આણંદ: આણંદ જિલ્લામાં સોમવારે થયેલા એક અકસ્માતમાં ત્રણ મિત્રોનાં મોત નિપજ્યાં હતાં. આ અકસ્માત અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો હતો. જ્યાં રોડ પર ઊભા રહેલા એક ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અંદર બેઠેલા બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં અન્ય બે યુવકોને ગંભીર હાલતમાં સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ખંભોળજ પોલીસે અકસ્માતે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે સોમવારે સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. ટ્રકની પાછળની બાજુએ ટક્કર મારતા કારના ફુરચા નીકળી ગયા હતા. કારમાં સવાર કુલ પાંચ લોકોમાંથી ત્રણનાં મોત થયા હતા. મૃતકોમાંથી એક યુવકનો જન્મ દિવસ હતો. તમામ લોકો અમદાવાદ ખાતે જન્મ દિવસની ઉજવણી કરીને વડોદરા જઈ રહ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે અમન પ્રતાપસિંહ નરવાણે પોતાના પાંચ મિત્ર સાથે અમદાવાદથી વડોદરા જઈ રહ્યો હતો. આ દરમિયાન એક્સપ્રેસ વે પર તેમની કારની ટ્રક સાથે ટક્કર થઈ ગઈ હતી.
કાર અને ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે, કારના ફૂરચા નીકળી ગયા હતા. અકસ્માતમાં અમન પ્રતાપસિંહ નરવાણ, માર્ક મેકલીન ક્રિશ્ચિયનના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. ધ્રુમિલ બારોટે સારવાર દરમિયાન વડોદરા ખાતે દમ તોડી દીધો હતો. મંથન દવે અને અભિષેક લક્ષ્મણરાવ પવારને સારવાર માટે ખસેડાયા છે.
અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ મામલે ખંભોળજ પોલીસ વધારે તપાસ શરૂ કરી છે.
અકસ્માત બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરાવનારા હતા. કારણ કે કારના ફૂરચા નીકળી ગયા હતા. એક વ્હીલ તૂટીને રોડ પર પડ્યું હતું. આ ઉપરાંત કારના પતરા તૂટીને હાઇવેની બાજુમાં પડ્યા હતા. કારની સ્થિતિ જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે તે કેટલી ઝડપમાં હશે.