અમદાવાદમાં છૂટાછેડાનો એક ગજબ કેસ સામે આવ્યો છે. જ્યાં કોર્ટે 33 વર્ષ બાદ 65 વર્ષીય વૃદ્ધના છૂટાછેડાને મંજૂર કર્યાં હતાં. જોકે વૃદ્ધની પત્નીએ કહ્યું હતું કે, હવે તે છૂટાછેડાનો કેસ લડવા માગતી નથી. 33 વર્ષ બાદ છૂટાછેડા મળતાં 65 વર્ષીય વૃદ્ધના બીજા લગ્નને કાયદેસર થયા હતા. અત્યંત ગૂંચવણભર્યાં આ મામલો સમગ્ર અમદાવાદમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
કેસની વિગત પ્રમાણે જો વાત કરીએ તો, 1978માં ધનજીભાઈ પરમારના ઈન્દિરાબહેન સાથે લગ્ન થયા હતાં. 1983માં તેમનાં ઘરે પુત્રનો જન્મ થયો હતો પરંતુ સતત ઝઘડાને કારણે 1986માં ધનજીભાઈએ છૂટાછેડાની અરજી કરી હતી. સિવિલ કોર્ટે તેઓના છૂટાછેડા પણ મંજૂર કરી દીધા હતા. જેના એક મહિનામાં જ ધનજીભાઈએ બીજા લગ્ન કરી લીધા હતાં.
પરંતુ સાત મહિના બાદ ઈન્દિરાબહેને કોર્ટના ચૂકાદા વિરૂદ્ધ અપીલ કરતાં કહ્યું હતું કે, તે પોતાના પિયરમાં રહી શકે તેમ નથી. ત્યાર બાદ કોર્ટે 1991માં તેઓનાં છૂટાછેડા નામંજૂર કર્યાં હતાં. સિવિલ કોર્ટના આદેશ વિરૂદ્ધ ધનજીભાઈએ ગુજરાત હાઈકોર્ટનો દ્વાર ખટખટાવ્યો હતો પરંતુ 28 વર્ષ સુધી તારીખ પે તારીખની જેમ તેમનો કેસ પેન્ડિંગ રહ્યો હતો.
ત્યાર બાદ પ્રથમ પત્નીએ કહ્યું હતું કે, હવે હું આ કેસ લડવા માગતી નથી અને નથી ઈચ્છતી કે ધનજીભાઈની બીજી પત્નીથી થયેલ ત્રણ બાળકોના માથા પર કલંક રહે કે તેમના માતા-પિતાના લગ્ન ગેરકાયદેસર છે.
ત્યાર બાદ હાઈકોર્ટે સિવિલ કોર્ટના ચૂકાદાને નામંજૂર કરી પતિ-પત્નીના છૂટાછેડા મંજૂર કર્યાં હતા અને કાયમી ધોરણે ખાધા ખોરાકી પેટે ઈન્દિરાબહેનને 17 લાખ રૂપિયા આપવા માટે ધનજીભાઈને આદેશ કર્યો હતો.