જામનગર: કાલવડથી અંદાજે 20 કિલોમીટર દૂર જામકંડોરણા તરફ જતાં હાઈવે પર આવેલા એક ગામ નજીક ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા પાંચના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં અને ત્રણને ગંભીર ઈજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આ પરિવાર પોરબંદર પાસે બાવળાવદરમાં આવેલી કામલસા પીરની દરગાહે સલામી કરી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત બાદ લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ અંગે જામનગર એસપીએ જણાવ્યું હતું કે, પાંચના મોત નિપજ્યાં છે અને ત્રણ ઈજાગ્રસ્ત થયા છે.
જામનગરમાં બેડી ખાતે રહેતા શબ્બીરભાઇ નોતીયાર સહિત આઠ વ્યકિત શુક્રવારે ઇકો કારમાં બેસીને બાવળાવદર પાસે કમાલશાપીરની દરગાહે સલામી ભરવા માટે ગયા હતા. પાનના ગલ્લાના ધંધા સાથે સંકળાયેલા શબ્બીર અને અન્ય લોકો જામનગર પરત આવી રહ્યા હતા. તે દરમિયાન કાલાવડ નજીક ભાવાભી ખીજડીયા ગામ નજીક હાઈવે પર ઈકો કારને પુરપાટ વેગે દોડતા ટ્રકના ચાલકે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં પાંચના મોત નિપજ્યાં હતાં તે તમામ જામનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારનું કચ્ચરઘાણ નીકડી ગયો હતો. અકસ્માત બાદ રસ્તા પર લોહીથી રસ્તો લથબથ થઈ ગયો હતો. આ ઘટનાથી આસપાસના ગામના લોકો દોડી આવી ઈકો કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા.