ગાંધીનગર: કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના કાર્યક્રમને ‘જન ચેતના સંમેલન’ નામ આપવામાં આવ્યું છે. આમ હાર્દિક પટેલ આજે ગાંધીનગરમાં પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. ગાંધીનગરના આ ‘જન ચેતના બેનર’ હેઠળના કાર્યક્રમમાં અનેક દિગ્ગજ નેતાઓ પણ જોવા મળે તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓને અગાઉથી જ આમંત્રણ આપવામાં આવી ચૂક્યું છે. સમ્રગ ગુજરાતના દરેક ગામમાંથી પ્રતિનિધિ આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેવું સુત્રો દ્વારા માહિતી મળી છે.
આમ લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતમાં જ્યારે કોંગ્રેસ માટે કપરાં ચઢાણ જોવા મળી રહ્યાં છે ત્યારે ફરી સક્રિય થવા હાર્દિક પટેલની આ રણનીતિ હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે દેશભરના દિગ્ગજ નેતાઓ જો એક મંચ પર જોવા મળે તો ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવે તેવી શક્યતા છે. ગુજરાતના રાજકારણમાં હાર્દિક પટેલ અંદાજે છેલ્લા ચારેક વર્ષથી ચર્ચામાં છે.
આગામી દિવસોમાં કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે નવી ટીમ બની રહી છે તેમાં હાર્દિક પટેલને મહત્વની જવાબદારી સોંપાશે તેવી ચર્ચા વચ્ચે આજના દિવસે હાર્દિક પટેલ ગાંધીનગરમાં જન ચેતના સંમેલનને સંબોધન કરી પોતાના રાજકીય જીવનને વધુ સાબિત કરવા પ્રયત્ન કરશે.