પતિ-પત્ની વચ્ચે અણબનાવ અથવા બન્ને વચ્ચે મનમેળ ન હોય તો તેવા અનેક કિસ્સોઓ પ્રકાશમાં આવતાં હોય છે પરંતુ આજે અમે જે કિસ્સાની વાત કરવા જઈ રહ્યાં જે સાંભળીને તમે ચોંકી જશો. એક કપલે 4 વર્ષ પહેલા લગ્ન કર્યાં હતાં પરંતુ ચાર વર્ષના લગ્નગાળા દરમિયાન બન્ને વચ્ચે મનમેળ રહેતો નહતો જેના કારણે પત્નીએ પતિ પર ભરણપોષણ સહિત કેસ કર્યો હતો. ત્યારે આજે કોર્ટમાં વકીલોના સહકારથી બન્ને પક્ષો રાજીખુશી અલગ થયા હતાં. છૂટાછેડાની અરજી કર્યાં બાદ બન્ને ખાજા ખાઈ રાજીખુશીથી અલગ થઈ ગયા હતાં. આ જોઈને દરેક લોકો અંચબામાં પડી ગયા હતાં.
વડોદરામાં રહેતા એક વ્યક્તિના લગ્ન 2017માં એક યુવતી સાથે થયા હતાં. શરૂઆતમાં બન્નેના લગ્નજીવનની ગાડી બરોબર ચાલતી હતી. પતિ નોકરી કરીને સારી એવી કમાણી પણ કરતો હતો. પરંતુ પત્નીની અપેક્ષા વધુ હતી જેને લઈને પત્ની પતિ પાસે રોજ નવી નવી ડિમાન્ડ મુકતી હતી. પતિ ન કરી શકે તેવી પણ ડિમાન્ડ પત્ની કરતી હતી. વારંવાર પત્ની પતિને હરવા-ફરવા માટે પણ ડિમાન્ડ કરતી હતી જેના કારણે પતિ કંટાળી ગયો હતો.
તમામ માંગણી પુરી કરીને પતિ થાકી ગયો હતો અને ત્યાર બાદ આ કપલ વચ્ચે નાની-નાની બાબતોએ ઝઘડા થવાના શરૂ થઈ ગયા હતાં. અંતે ચાર વર્ષ સાથે રહ્યા પછી પત્નીએ પિયર રહેવાની જીદ પકડી હતી અને સાસરીનું ઘર છોડીને જતી રહી હતી. ત્યાર બાદ પતિ સામે ભરણપોષણ અને ઘરેલુ હિંસા સહિત કેસ કર્યો હતો. આ સમાચાર મળતાં જ પતિ ચોંકી ગયો હતો. ત્યારે પતિ તરફથી પ્રીતિ જોષીએ કોર્ટમાં તેનો બચાવ કર્યો હતો.
પતિ-પત્નીના આ કેસમાં પત્નીની ભરણપોષણની અરજી પર કોર્ટે દર મહિને 6 હજાર રૂપિયા ચુકવવાનો આદેશ કર્યો હતો. જ્યારે પતિ તરફે પત્નીને ફરી તેડી જવાની અરજી પણ કરવામાં આવી હતી પરંતુ પત્ની સાસરે જવા તૈયાર નહોતી. આખરે વકીલો અને બન્ને પક્ષો વચ્ચે મીટિંગ થઈ હતી ત્યાર બાદ બન્ને પક્ષો છુટાછેડાની અરજી કરવામાં આવી હતી અને ખાજા ખાઈ રાજીખુશીથી અલગ થયા હતાં.