અંબાલાઃ ભારતમાં કોરોનાની આંધીએ અનેક પરિવારને બરબાદ કર્યા છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં કોણ કોને સાંત્વના આપે તે કહી શકાય તેમ નથી. સ્મશાનમાં આપ્તજનોના રૂદન સાંભળીને કઠણ કાળજાના માનવીની પણ આંખ ભીની થઈ જાય છે. ખબર નહીં ભગવાન કેમ હજી પણ કંઈ કરતો નથી. કંઈક દુઃખભરી ઘટના હરિયાણાના અંબાલા સિટીના ખત્રી સભા ગોવિંદપુરી સ્મશાનઘાટમાં બની હતી. એક ચિતાની રાખ હજી ઠંડી પણ નહોતી થઈ અને બીજા એમ્બ્યૂલન્સમાં શબ આવી જાય છે. બપોરના સમયે બે એમ્બ્યુલન્સમાંથી બે શબ ઉતારવામાં આવતા હતા. ત્રીજી પોતાનો વારો ક્યારે આવે તેની રાહમાં હતી. જંડલી, બલદેવ નગર, બલાના, રામપુરા, દિલ્હી તથા ગાઝિયાબાદથી આવેલા લોકોના આંસુ સૂકાતા નહોતા.
સ્મશાનના દરવાજા આગળ એક પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. આ રડતા પરિવારને જોઈ 6 વર્ષીય માસૂમ દીકરીએ પોતાની માતાને કાલીઘેલી ભાષામાં પૂછ્યું હતું કે આ બધા કેમ રડે છે. દીકરીને ખ્યાલ જ નહોતો કે કાળમુખા કોરોનાએ તેના પિતાને છિનવી લીધી છે. માતા પાસે દીકરીના સવાલનો કોઈ જવાબ નહોતો.
ગાઝિયાબાદથી અમ્બાલા સિટી આવેલી પૂજા પતિ તથા 6 વર્ષીય દીકરી તથા 3 વર્ષના દીકરા સાથે આવી હતી. અહીંયા તેના એન્જિનિયર પતિ સુનીલ કુમારનું કોવિડ 19ને કારણે મોત થયું હતું આ મુશ્કેલ ઘડીમાં ના સાસરેથી કોઈ આવ્યું કે ના પિયરથી કોઈ આવી શક્યું. મહિલાએ ત્રણ વર્ષના દીકરાને ખોળામાં રાખીને તમામ વિધિ કરી હતી.
ગાઝિયાબાદમાં રહેતો 41 વર્ષીય સુનીલની લૉકડાઉન દરમિયાન નોકરી જતી રહી હતી. તે ગુરુગ્રામમાં નોકરી કરતો હતો. અનેક મહિના સુધી બેકાર રહ્યા બાદ 25 દિવસ પહેલાં અમ્બાલામાં બલદેવ નગર પોલીસ સ્ટેશનની પાસે નવનીત નગરમાં મેઘા ટાવરમાં ડીબી એન્જિનિયરિંગ એન્ડ કન્સલ્ટિંગ કંપનીમાં સિગ્નલ એન્જિનિયર તરીકે નોકરી શરૂ કરી હતી. થોડાં દિવસ પહેલાં જ સુનીલને કોરોના થયો હતો. તે હોસ્પિટલમાં એડમિટ હતો. તેને મંગળવાર, 27 એપ્રિલના રોજ બપોરે પતિના મોતના સમાચાર મળ્યા હતા. તેને ખ્યાલ નથી કે હવે ઘર કેવી રીતે ચાલશે.
માત્ર 13 વર્ષના દીકરાએ પિતાને મુખાગ્નિ આપ્યોઃ અન્ય એક કિસ્સામાં હરિયાણાના જંડલીના 38 વર્ષીય નરેશ કુમારનું કોવિડ હોસ્પિટલમાં મોત થયું હતું. 13 વર્ષીય દીકરા યશે અંતિમ સંસ્કારની તમામ વિધિ કરી હતી. માતા સીમાએ પિતાના પાર્થિવ દેહ આગળ બંગડીઓ તોડી હતી. આ જોઈને દીકરો પણ રડવા લાગ્યો હતો. નરેશ ઘરમાં એક માત્ર કમાનાર વ્યક્તિ હતો. હવે આ પરિવારનું શું થશે તે તો ભગવાન જ જાણે.