દેશભરમાં હનુમાન જયંતીની ધામધૂમ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ઠેર-ઠેર ભક્તોએ ભાવ વિભોર બની દાદાની આરાધના કરી હતી. આ અવસર પર જામનગરમાં એક એવી ઘટના બની જેને સૌ કોઈમાં કૌતુક જગાડ્યું હતું. જામનગરના શ્રી ફૂલીયા હનુમાન મંદિરના મહંતે એક થાળ જેટલો સિંદૂર પી ગયા હતા. આ તકે ઉપસ્થિત ભક્તોને અચંબામાં મુકી દીધા હતા. પછી જે થયું એના પર કોઈને વિશ્વાસ નહોતો આવ્યો.
પ્રાપ્ત વિગત મુજબ જામનગરના કિશાન ચોક વિસ્તારમાં આવેલા શ્રી ફૂલિયા હનુમાન મંદિરે આ વખતે પણ અનોખી ઘટના બની હતી. શ્રી ફૂલિયા હનુમાનનું મંદિર ઘણું જૂનું છે અને એની સેવા-પૂજા દીપકભાઇ કુબાવત નામના બાવાજી પૂજારી દ્વારા વર્ષોથી કરે છે.
દરમિયાન શનિવારના હનુમાનજયંતીના દિવસે સવારે 4 વાગ્યે પૂજા કરાઇ હતી. ત્યાર બાદ સામૈયા-આમંત્રણની વિધિ પૂરી કરવામાં આવી હતી. ત્યાર બાદ સવારે 5.30 વાગ્યાથી પૂજારી દીપકભાઇને હનુમાનજી પંડમાં આવ્યાનો અહેસાસ થાય છે અને હનુમાનજીની મૂર્તિને નવું સિંદૂર ચઢાવ્યુ હતું.
હનુમાનજીના થારમાં રહેલું તેલ મિશ્રિત અઢળક સિંદૂર (સુકનની પ્રસાદી) હતું, એ પૂજારી દીપકભાઇ હનુમાનની પ્રસાદીરૂપે પી ગયા હતા. દર વર્ષે તેઓ સિંદૂરની પ્રસાદી ગ્રહણ કરે છે ત્યારે શનિવારના પણ અનેક ભકતો-દર્શનાર્થીઓની હાજરીમાં તેમણે એની પ્રસાદી ગ્રહણ કરતાં ભાવિકો અચંબિત થઇ ગયા હતા.
સામાન્ય રીતે એવું કહેવાય છે કે સિંદુર પીવાથી ગળુ બેસી જાય છે અને અવાજ ચાલ્યો જાય છે. પણ અહીં પૂજારીને કંઈ જ નહોતું થયું. કહેવાય છે કે જેના પર બજરંગ બલીનો હાથ હોય તેનું કોઈ શું બગાડી શકવાનું હતું? આ ચમત્કાર જોઈને ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.
નોંધનીય છે કે આશરે 50 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. દર વર્ષે અહીંના પૂજારી સિંદૂરની પ્રસાદી ગ્રહણ કરે છે. પૂજારી દિપકભાઇ કુબાવતના પિતા અને દાદા પણ આ મંદિરના સેવક રહી ચૂકયા છે. દિપકભાઇ ત્રીજી પેઢીના સેવક ગણાય છે.