રાજૌરીઃ કાશ્મીરના રાજૌરીમાં 12 ઓગસ્ટ, ગુરુવારની રાત્રે ભાજપ નેતા જસબીર સિંહના ઘરે આતંકીઓએ ગ્રેનેડ અટેક કર્યો હતો. આ હુમલામાં જસબીર તથા ચાર પરિજનો ગંભીર રીતે ઘાયલ થયા છે. સૌથી દુઃખદ વાત એ છે કે આ ઘટનામાં જસબીરનો 2 વર્ષીય ભત્રીજો વીર સિંહનું મોત થયું છે. જસબીર હોસ્પિટલમાં દાખલ છે અને તેને ખ્યાલ નથી કે તેનો ભત્રીજો હવે આ દુનિયામાં નથી. વીરની માતા સ્વર્ણા દેવી કંઈ જ બોલી શકવાની સ્થિતિમાં નથી.
જસબીરની ડેડબોડી આસપાસ પરિવારના સભ્યો વીંટળાઈને બેઠાં હતાં. દરેકના ચહેરા પર દુઃખ છવાયેલું હતું. ફોઈ રડી રડીને પૂછતી હતી કે મારા લાડલાનો શું વાંક હતો. બધાને એમ જ કહેતા હતા કે વીર ભૂખ્યો સૂતો હતો. તેની મમ્મી બટાકાની ચિપ્સ બનાવવા ગઈ હતી. દીકરાને ઉઠાડીને ચિપ્સ ખવડાવે તે પહેલાં જ હુમલો થયો હતો. તેમનો દીકરો સૂતો જ રહી ગયો અને હંમેશાં માટે સૂઈ ગયો.
ફોઈએ રડતા રડતાં કહ્યું હતું કે તેના ભાઈના પરિવારને ન્યાય મળે. જો આ દેશદ્રોહી મર્દ હતા તો સામેથી વાર કરે, આ રીતે પીઠ પાછળ કેમ ખંજર મારે છે. પરિવારને વેર વિખેર કરી નાખ્યો. દીકરાએ ત્યાં ને ત્યાં દમ તોડી દીધો. દીકરા સાથે શું દુશ્મની હતી. ભગવાન ન્યાય કરશે.
જસબીરના ભાઈ બલબીર સિંહે કહ્યું હતું કે સુરક્ષા વધારવી જોઈએ. આ વાતની તપાસ થવી જોઈએ કે હુમલો થયો ત્યારે કેટલી સુરક્ષા વ્યવસ્થા હતી. ઘાયલ જસબીરે કહ્યું હતું કે હુમલામાં સ્થાનિક લોકોનો હાથ છે. જે દુકાનમાંથી આતંકીઓને ગ્રેનેડ આપવામાં આવ્યા, તેની તપાસ થવી જોઈએ. તેમણે લોકોની ભલાઈ માટે કામ કર્યું છે, અને તેમને શંકા છે તેમના કામને પસંદ ના કરનારા લોકોએ જ હુમલો કર્યો છે.
હુમલામાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલઃ પોલીસના મતે, આતંકીઓએ હુમલો કર્યો ત્યારે જસબીર સિંહ પરિવાર સાથે હતા. હુમલામાં જસબીર ઉપરાંત અર્જુન સિંહ, જસબીરની માતા સિયા દેવી, ભાઈ બલબીર તથા દીકરો કર્ણ સિંહ ઘાયલ થયા છે. 2 વર્ષીય વીરને બચાવી શકાયો નહીં.
ખાંડલી વિસ્તારમાં ભાજપના મંડળ અધ્યક્ષ જસબીર સિંહના ઘરે થયેલા હુમલા બાદ વિસ્તારને પૂરી રીતે સીલ કરી દેવામાં આવ્યો છે. આ પહેલાં આતંકીઓએ ગુરુવારના દિવસે કુલગામના બીએસએફના જવાનો પર હુમલો કર્યો હતો.