ધંધૂકાના યુવાન કિશન ભરવાડની હત્યા બાદ ગુજરાતભરમાં રોષ ફાટી નીકળ્યો છે. જુવાનજોધ દીકરાના મોત બાદ પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. હજી 20 દિવસ પહેલાં જ દીકરીના પિતા બનેલા કિશનની હત્યાથી પરિવાર રડી રડીને બેહાલ થઈ ગયો છે. પત્ની, માતા, બહેન અને પિતાની આંસુમાં કેમેય કરીને આંસુ રોકાતા નથી. ઝેરોક્સની દુકાન ચલાવી ગુજરાત ચલાવતા કિશનના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ભાઈ વગર હવે અમે શું કરીશું: બહેન
ભાઈના મોતથી બહેનની આંખોમાં હજી આંસુ સૂકાતા નથી. તેણે રડતાં રડતાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “એ લોકોએ મારા ભાઈને ખોટી રીતે માર્યો, દગો દઈને પીઠ પાછળ ઘા કર્યો છે. અમારે બીજું કશું નથી કહેવું, બસ મારા ભાઈને ન્યાય અપાવો. અમે બહેનો ભાઈ વગરની થઈ ગઈ, હવે અમે શું કરીશું.”
દીકરા પાસે માફી મગાવી પછી દગાથી મારી નાખ્યો : માતા
કિશન ભરવાડનાં માતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, “મારા દીકરાને ખોટી રીતે મારવામાં આવ્યો છે. પહેલાં એનાથી માફી મગાવી. અને પછી એને દગાથી મારી નાખ્યો છે.”
આરોપીને તાત્કાલિક સજા કરવામાં આવે? : પિતા
કિશન ભરવાડના પિતા પણ જુવાનજોધ દીકરાના નિધનથી દુ:ખી દુ:ખી થઈ ગયા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “સોશિયલ મીડિયા પર શું ચાલે છે તેની તો મને ખબર નથી. પરંતુ મારા દીકરાને એણે મૂકેલી પોસ્ટને લઈને અદાવત રાખીને મારી નાખવામાં આવ્યો છે. અમારી માંગ એ છે કે આરોપીની તાત્કાલિક જે સજા થવી જોઈએ એ કરવામાં આવે.”
ઝેરોક્સની દુકાન સાથે પશુપાલનનો વ્યવસાય કરતો કિશન
મૂળ ચૂડા તાલુકાના ચચાણા ગામના રહેવાસી કિશન ભરવાડ (બોળિયા) ધંધૂકામાં મોઢવાડા વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો. કિશન ભરવાડ પશુપાલન સાથે ઝેરોક્સની દુકાન ચલાવતો હતો. કિશન પત્ની, માતા-પિતા અને દીકરી સાથે રહેતો હતો.
શું ઘટના?
ગયા 25મી જાન્યુઆરીના રોજ ધંધૂકામાં કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. આ ઘટના બહાર આવતા માલધારી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જોકે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો. આ ઘટનાના બે દિવસ બાદ ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારની મુલાકાત લઈને ઝડપી ન્યાયની ખાતરી આપી હતી. પોલીસે પણ કેસની ગંભીરતા પારખીને હત્યામાં સામેલ બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. બાદમાં અમદાવાદ મૌલવીને દબોચી લીધો હતો. કેસમાં હથિયાર પુરા પાડનાર રાજકોટના શખસેને પકડી લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 6 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.