તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટનરી ડોક્ટરની સાથે થયેલા ગેંગરેપ અને હત્યા કેસમાં ચારેય આરોપીઓનું હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટર સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી છે. રિકંસ્ટ્રક્શન સમયે ચારેય આરોપીઓએ પોલીસના હથિયાર છિનવીને ફાયરિંગ કર્યું હતું. તપાસ કરી રહેલા ડીસીપીએ મોટો ખુલાસો કર્યો છે કે, હથિયાર છિનવીને ફાયરિંગ કર્યું હોવાના કારણે પોલીસે આ એન્કાઉન્ટરને અંજામ આપ્યો હતો.
સાઈબરાબાદ પોલીસ કમિશ્નર વીસી સજ્જનરે કહ્યું હતું કે, આજે સવારે 3થી 6ની વચ્ચે ચંદનપલ્લી, શાદનગરમાં ચારેય આરોપીઓ મોહમ્મદ આરિફ, નવીન, શિવા અને ચેન્નેકશવુલુ એન્કાઉન્ટરમાં માર્યા હતાં. આ ઘટના અંગે સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે.
હૈદરાબાદ ગેંગરેપમાં ચારેય આરોપીઓનું તેલંગાણા પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ આ ચારેય આરોપીઓને રિકંસ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ જઈ રહી હતી જ્યાંથી આ ચારેય આરોપીઓએ ભાગવાની કોષિશ કરી હતી. તે દરમિયાન ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું હતું.
ચારેય આરોપીઓ 14 દિવસના પોલીસ રિમાન્ડ પર હતાં. 4 ડિસેમ્બરે આ કેસની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના પણ કરવામાં આવી હતી.
આ ચારેય આરોપીનું નામ શિવા, નવીન, કેશવુલુ અને મોહમ્મદ આરિફ હતું. હૈદરાબાદના બાહરી વિસ્તારમાં 27મી નવેમ્બરની રાતે ચાર ટ્રક ડ્રાઈવરો અને ક્લિનરે સાથે મળીને મહિલા ડોક્ટરની સાથે ગેંગરેપ આચર્યા બાદ પેટ્રોલથી સળવાગીને મારી નાખી હતી. આ ઘટના બાદ આરોપીઓને ફાંસીની સજાની માંગને લઈને સમગ્ર દેશમાં પ્રદર્શન પણ થયું હતું.
સ્કુટી બગડ્યા બાદ મહિલા ડોક્ટરે તેની બહેનને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મને ટ્રક ડ્રાયવરોથી બહુ જ ડર લાગે છે. ત્યારે જ હાઈવે પર મહિલા ડોક્ટરનું મોઢું દબાવીને ચારેય આરોપીઓ તેને ઢસડીને ટ્રકની પાછળ આવેલા એક ગ્રાઉન્ડમાં લઈ ગયા હતાં. જ્યાં તેની સાથે આ કૃત્ય આચર્યું હતું. જોકે મહત્વની વાત એ છે કે, આ ગ્રાઉન્ડમાં વોચમેનનું ઘર પણ આવેલું છે પરંતુ તેને આ ઘટના અંગે કંઈ જ ખબર પડી નહીં.
મહિલા ડોક્ટરના પરિવારજનોએ કહ્યું હતું કે, બુધવારે મહિલા ડોક્ટરે તેની બહેનને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મારી સ્કુટી બગડી ગઈ છે અને મને બહુ જ ડર લાગે છે. ત્યાર બાદ મહિલા ડોક્ટરના પરિવારજનોએ તેનો સંપર્ક કરવાની કોષિશ કરી હતી જોકે તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.
મોડી રાત સુધી મહિલા ડોક્ટર ઘરે પરત ન આવતાં તેના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા જ્યાં ફરિયાદ નોંધાવી હતી. જોકે બ્રિજ પાસે એક મૃતદેહ સળગતો હતો ત્યારે ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તે દરમિયાન મહિલા ડોક્ટરના પિતાને બોલાવવામાં આવ્યા હતા અને તેની ઓળખ કરવામાં આવી હતી.