ભવનાથ ખાતે મહા શિવરાત્રિના મેળામાં દેશ- વિદેશથી સાધુ, સંતો આવી રહ્યા છે. દરમિયાન ઇટાલીના રોમથી શિવાની ભારતી અને અમર ભારતી નામના 2 સાધુ પણ આવ્યા છે. તેઓ સતત આખો દિવસ ઓમ નમ: શિવાયના જાપ જપતા રહે છે. આ અંગે અમરભારતીએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત જૂનાગઢના મહા શિવરાત્રિના મેળામાં આવ્યો છું.
ખાસ કરીને અલ્હાબાદમાં તો કુંભનો મેળો યોજાય છે સાથે જૂનાગઢમાં મિનીકુંભ યોજાય છેે, એવું જાણ્યા બાદ પ્રથમ વખત જૂનાગઢ આવ્યા છીએ. અહિં તપસ્વિ લોકોની ભૂમિ હોય મેળો કરવા આવ્યો છું. મેં 4 વર્ષ પહેલા દિલ્હીના વિશ્વંભર ભારતી બાપુ નામના સાધુ પાસેથી દિક્ષા લીધી છે. નેપાળ, શ્રીલંકા બાદ ભારતના ધાર્મિક સ્થાનોના ભ્રમણમાં નિકળ્યા છીએ.
ખાસ કરીને અનેક દેશોમાં આધ્યાત્મિક લોકોના સત્સંગમાં આવ્યા છીએ પરંતુ હવે સમજાયું છે કે, તમામ ધર્મોનું મૂળ સનાતન ધર્મ છે. ભારત આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખર ધરાવતો દેશ છે. દરમિયાન તેમના પૂર્વાશ્રમ અંગે પૂછતા વો મર ગયા એવું જણાવી જૂની ઓળખ ફરી તાજી કરવા માંગતા ન હોય તેમ જણાયું હતું.
શિવ અને જીવનું મિલન કહેવાતો શિવરાત્રીનો મેળો શરૂ થતાની સાથે જ પ્રવાસીઓ બહોળી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શિવરાત્રીના મેળામાં ભાવિકોનો અવિરત પ્રવાહ શરૂ થયો છે. તો બીજી તરફ શિવ ઉપાસકો મેળામાં ધૂણી ધખાવી નાગા સાધુએ મહાદેવના જયકારા સાથે ભક્તિ શરૂ કરી છે. .નાગા સાધુઓના આશીર્વાદ લેવા ભક્તો મેળામાં ઉમટી રહ્યા છે.
શિવરાત્રીના મેળામાં આવનારા પ્રવાસીઓને મનોરંજન પૂરું પડી રહે તે માટે ફજેત ફાળકા બાળકો તેમજ યુવાનો માટે અલગ અલગ રાઈડસ અને ખાણીપીણી સ્ટોલ અને અન્નક્ષેત્રો પહેલે દિવસથી જ ધમધમી ઉઠ્યા છે. ત્યારે આવનારા દિવસોની અંદર લાખોની સંખ્યામાં આ મહાદેવના મેળામાં ભાવિક ભક્તો ઉમટશે અને શિવરાત્રીના મેળાનો લ્હાવો લેશે.
પંચદશનામ આહવાન અખાડાના થાનાખાનાપતિ વિજય પુરી મહારાજે જણાવ્યું હતું કે, નાગા સન્યાસીની પરંપરા સતયુગથી ચાલી આવે છે, નાગા સાધુઓના ઇષ્ટદેવ દત્તાત્રેય ભગવાન જેમને સન્યાસની રચના કરી હતી, જેમણે નાગા સન્યાસી દિગંબર પરંપરાની રચના કરી હતી. નાગા સન્યાસીઓ શિવરાત્રીના દિવસે કુન્દ્રરણી શક્તિને જાગૃત કરે છે અને કુન્દ્રરણી શક્તિ જાગૃત થાય ત્યારે જ પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકાય છે.