ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરીણામ જાહેર થઈ ગયા છે જેમાં તમામ મહાનગરપાલિકામાં ભાજપની જીત થઈ છે પરંતુ સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકો પર જીત થઈ છે જેને લઈને પાર્ટીમાં અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે, સુરતના વોર્ડ નંબર 16માં આમ આદમી પાર્ટીમાંથી સૌથી નાની ઉંમરની ઉમેદવાર ચૂંટણી લડી હતી જેની જીત થઈ છે અને ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે.
પાયલ કિશોરભાઈ સાકરિયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીની ઉમેદવારી નોંધાવી હતી. પાયલની ઉંમર માત્ર 22 વર્ષની છે. તે સુરતના સૌથી ઓછી વયની ઉમેદવાર હતી. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો હતો. પાયલ પુણા વિસ્તારમાં આવેલી સકર્તા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પાયલ પાસે મિલકતમાં માત્ર 92 હજાર રૂપિયા અને 50 હજારની કિંમતનાં ઘરેણાં છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારોની જીત થતાં પાર્ટીમાં અને કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ જીતની ખુશી કેક કાપીને કરી હતી. જેમાં વિજેતા ઉમેદવારોમાં સુરતના વોર્ડ નંબર 16ની માત્ર 22 વર્ષીય પાયલનો પણ સમાવેશ થાય છે.
માત્ર 22 વર્ષીય પાયલ સાકરિયા જ્યારે પોતાની સોસાયટીમાં પહોંચી ત્યારે તેનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સોસાયટી અને પરિવારના લોકો ઢોલ-નગારાં સાથે તેનું સ્વાગત કરવા માટે હાજર હતા.
આ પ્રસંગે પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે હું મારા વિસ્તારમાં ખૂબ સારાં કામ કરીશ. મહાનગરપાલિકાની ચૂંટણી જીત્યા બાદ સોસાયટી ખાતે પહોંચેલી પાયલ સાકરિયાએ પરિવારના વડીલોના આશીર્વાદ લીધા હતા. પરિવારના લોકોએ મીઠાઈ સાથે તેનું સ્વાગત કર્યું હતું.
સુરત મનપામાં આપને મળેલી સફળતા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે નવી રાજનાતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી અભિનંદન. સુરત મનપાની 120 બેઠકોમાંથી અત્યારસુધીમાં 27 બેઠકો પર કબજો કરી આપ મુખ્ય વિરોધપક્ષ તરીકે સામે આવી છે.