અમદાવાદના નરોડા વિસ્તારની એક મહિલા સાધના શૈલેષ પટેલનો મૃતદેહ પેરિસની સીન નદીમાં તરતી જોવા મળી આવી હતી. યુવતીના પરિવારજનોને તેના મોતમાં કંઇક અજુગતું થયાની આશંકા વ્યક્ત કરી છે. સાધનાનો મૃતદેહ 14 એપ્રિલ, 2022ના રોજ મળી આવ્યો હતો અને તે 6 ઓગસ્ટે અમદાવાદ પહોંચ્યો હતો. સાધનાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.
પરિવારે દાવો કર્યો હતો કે, લાશ ખરાબ રીતે સડી ગઈ હોવાથી તેઓએ તેને ઓળખવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. મુંબઈમાં રહેતી સાધનાની બહેન મનિષા શાહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “પેરિસ પોલીસને આત્મહત્યાની શંકા છે પરંતુ અમને લાગે છે કે આ ઘટનામાં કાંઇક અજુગતું થયું છે. કારણ કે, પેરિસમાં કામ કરતો તેનો પતિ શૈલેષ પટેલ પણ મળી નથી રહ્યો.” પેરિસ પોલીસ હજી આ કેસની તપાસ કરી રહી છે.
સાધનાના ભાઈ ગૌરવ લાબાડેએ ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક સાધ્યો હતો. જેમણે વિદેશ પ્રધાન એસ જયશંકરને પત્ર લખીને આ મામલે પેરિસ પોલીસ દ્વારા યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. મનિષાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેની બહેને 2016માં શૈલેષ સાથે લગ્ન કર્યા હતા. તેઓ 2018માં યુક્રેન શિફ્ટ થયા હતા. તેમના એજન્ટ તેમના પાસપોર્ટ અને અન્ય સંબંધિત દસ્તાવેજો સાથે ગાયબ થઈ ગયો હતો. જેથી યુક્રેન પોલીસે તેમની અટકાયત કરી હતી. તેઓ કોઈક રીતે કાનૂની સહાય મેળવવામાં સફળ રહ્યા અને પછી 2020માં પેરિસ શિફ્ટ થયા હતા.
તેમણે વધુમાં કહ્યું કે, સાધનાએ તેમને ખોટી ચિંતાથી દૂર રાખવા માટે ઘટનાઓ વિશે જાણ કરી ન હતી. “અમને પાછળથી આ ઘટનાની જાણ થઈ હતી. તેણીએ અમને તેના પતિ સાથેના તેના હિંસક વર્તન વિશે પણ કહ્યું હતું. તે તેનાથી અલગ થઈ ગઈ હતી અને રાજ્ય સંચાલિત આશ્રયસ્થાનમાં રહેતી હતી. માર્ચ 2022થી તે અમારા સંપર્કમાં નહોતી.
મનિષાએ આગળ જણાવ્યું કે, 24 મે, 2022ના રોજ ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે સાધનાના પરિવારને જાણ કરી હતી કે પેરિસ પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો છે. “અમે પેરિસ પોલીસનો સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે, સાધના 4 માર્ચ, 2022ના રોજ જ્યારે તે ખરીદી કરવા ગઈ હતી, ત્યારે આશ્રય સ્થાનમાંથી ગુમ થઈ ગઈ હતી. તેનો મૃતદેહ એપ્રિલ 2022માં મળી આવ્યો હતો અને અમને મે મહિનામાં તેના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. તેના મૃત્યું સુધીની કેટલીક કડીઓ છે. મનીષાએ કહ્યું કે, અમે તપાસ કરાવવા માંગીએ છીએ કે, સાધનાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે.
તેણીએ વધુમાં મીડિયા સાથેની વાતચીતમાં આગળ જણાવ્યું કે, સાધનાનો પતિ શા માટે તેની બોડી ન લીધી? આ દંપતીને અલગ થવાનું કારણ શું છે. તેણીને તે પણ શંકાસ્પદ લાગ્યું કે, તેની બહેનનો મૃતદેહ ગાયબ થયાના એક મહિના પછી નદીમાં તરતો મળી આવ્યો હતો.
મનિષાએ જણાવ્યું હતું કે, “અમે સોમવારે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા, પરંતુ ન્યાય મેળવવા માટેનો અમારો સંઘર્ષ હવે શરૂ થાય છે. અમે ફ્રાન્સની સરકાર સમક્ષ આ મામલો ઉઠાવવા માટે ભારત સરકારના સર્વોચ્ચ પદનો સંપર્ક કરીશું. અમે ગુજરાત સરકારનો પણ સંપર્ક કરીને અમારો કેસ કેન્દ્ર સમક્ષ ઉઠાવીશું.”