કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનામાં ભરતી અંગે જાહેર કરેલી અગ્નિપથ યોજનાનો દેશનાં અનેક રાજ્યોમાં હજારો છાત્રો વિરોધ કરી રહ્યા છે. સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડાઇ રહ્યું છે. એવામાં સરકારની આ યોજનાના સમર્થનમાં મૂળ ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના વતની અને હાલ દયાપરમાં રહેતા 23 વર્ષીય યુવાને કેન્દ્રીય રક્ષામંત્રીને પોતાના લોહીથી લખેલા પત્રમાં શૂન્ય વેતન સાથે સેનામાં જોડાઇને દેશ સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, સાથે હાલ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહેલા છાત્રોને પણ આવો હિંસક વિરોધ બંધ કરવા અપીલ કરી છે.
મૂળ નાનકડા ટીમાણા ગામના વતની દીપક ડાંગરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે હાલ કચ્છ યુનિવર્સિટીમાં એમએસડબ્લ્યુમાં અભ્યાસની સાથે સેવાકીય પ્રવૃત્તિ કરે છે. દેશદાઝની ભાવના બાળપણથી માતા-પિતા પાસેથી મળી છે. પરિવારના સભ્યો આર્મી, નેવી તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓમાં ફરજરત છે એમ કહેતાં ઉમેર્યું હતું કે સાડાચાર હજાર જેટલી વસતિ ધરાવતા ટીમાણા ગામના 20 જેટલા યુવાનો સેનામાં ફરજ બજાવી રહ્યા છે.
એક બોટલ લોહી એકઠું કર્યું
શાળાકાળમાં એનસીસીના કેડેટ રહી ચૂકેલા આ યુવાને ભારતીય સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવવાની અદમ્ય ઇચ્છા વ્યક્ત કરતાં કોઇપણ વેતન લીધા વિના દેશસેવાની તક મળે એવા આશય સાથે પોતાના લોહીથી રક્ષામંત્રીને પત્ર પાઠવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે દયાપરના આરોગ્ય કેન્દ્રમાં પોતાનું લોહી બોટલમાં એકઠું કરીને પત્રમાં લખાણ કર્યું હતું, જેમાં સેનામાં તક મળશે તો નોકરી શરૂ કરવાથી પૂરી થાય ત્યાં સુધી એકપણ રૂપિયાનું વેતન લીધા વિના ફરજ બજાવવાની તૈયારી દર્શાવી હતી.
હાલ દેશમાં આ યોજના સામે વિરોધ
ભારત સરકારે જાહેર કરેલી નવી ભરતી યોજનાને પણ આ યુવાને ટેકો જાહેર કર્યો હતો. તો હાલ દેશમાં વિરોધના નામે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડાઇ રહ્યું છે એને પણ દુ:ખદ લેખાવ્યો છે, સાથે આ યુવાને ઉમેર્યું હતું કે યુવાનો જે દેશની જાહેર સંપત્તિને નુકસાન કરે છે તે યુવાનો વિરુદ્ધમાં છું, કેમ કે સૈનિક દેશનું રક્ષણ કરે છે, એને નુકસાન નથી કરતો.