શ્રાવણ મહિનામાં તીર્થધામ ઋષિકેશની બાજુમાં આવેલા પૌરીના નીલકંઠ મંદિરમાં શિવના ભક્તો ઉમટી પડે છે. દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહેન વસંતી બેન પતિ હસમુખ અને અન્ય લોકો પણ અહી દર્શન માટે આવ્યા હતા. આ પછી વસંતી બેન કોઠાર ગામમાં સ્થિત પાર્વતી મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બહેન શશી દેવીને પણ મંદિર પરિસરમાં ચાલતી દુકાનમાં મળ્યા હતા.
તેમણે પરિવારના સભ્યોની હાલત પૂછી હતી. આ સાથે અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. PM અને CMની બહેનોની આ મુલાકાત પણ કેમેરામાં કેદ થઈ હતી, જેની તસવીરો પણ વાયરલ થઇ રહી છે.
નોંધનીય છે કે પીએમ મોદી અને સીએમ યોગીનો પરિવાર ખૂબ જ સાદગીથી રહે છે. સીએમ યોગી અને તેમના પરિવારની વાત કરીએ તો, આદિત્યનાથ 21 વર્ષની ઉંમરે પરિવાર છોડીને ગોરખપુર ગયા હતા. સંન્યાસ પછી તેમનું નામ અને રહેવાનું સ્થળ બદલાઇ ગયા હતા. ઉત્તરાખંડના પંચુર ગામના અજય સિંહ બિષ્ટ યોગી આદિત્યનાથ બન્યા હતા.
ઉત્તરાખંડના પૌડી જિલ્લાના રહેવાસી યોગી આદિત્યનાથ ચાર ભાઈ અને ત્રણ બહેનમાં બીજા ભાઈ છે. તેમનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાના એક નાનકડા ગામ પંચુરમાં થયો હતો. હાલમાં તેઓ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે.
ગયા વર્ષે યોગી આદિત્યનાથ ઉત્તરાખંડમાં તેમના વતન ગામ પંચુર પહોંચ્યા હતા. ગામમાં પહોંચતાની સાથે જ તેમણે માતાના આશીર્વાદ લીધા હતા. આ પછી તેઓ ગ્રામજનોને મળ્યા હતા. દરમિયાન, સીએમ યોગીની બહેન શશીએ કહ્યું હતું કે બધા ખૂબ ખુશ છે. દરેક વ્યક્તિ તેમને મળવા આવે છે. તેમની પાસેથી આશીર્વાદ લેતા જાય છે.