સુરેન્દ્રનગર: અબોલ પશુઓના માનવી સાથેના સંબંધોની અનેક વાતો તમે સાંભળી હશે. પણ સુરેન્દ્રનગરના થાનગઢનો આ કિસ્સો તમને વિચારવા મજબૂર કરી દેશે.
વાત એમ છે કે થાનગઢની જયઅંબે સોસાયટીમાં મયુર નામનો એક 10 વર્ષનો છોકરો વીજ લાઈન નીચે રમી રહ્યો હતો. અચાનક શું થયું કે બાજુમાં રહેલી ગાયે ઢીંક મારીને મયુરને દૂર હડસેલી દીધો હતો. જોતજોતામાં ગાયમાતાનું ઘટના સ્થળે મોત થયું હતું. મયુર જ્યાં રમતો હતો તેની ઉપરથી પસાર થતી જીવંત વીજ લાઈન તૂટવાની હતી, એવો અંદેશો ગાયને આવી જતા તેને મયૂરને ઢીંક મારીને દૂર કર્યો હતો અને જીવતો વાયર પોતાના પર લઈ લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગાય ગાભણી હતી.
ઘટના બાદ લોકો એકઠાં થઈ ગયા હતા અને ગાય માતાને પ્રણામ કરવા લાગ્યા હતા. આ અંગે બાળકના પિતા વિરજીભાઈએ જણાવ્યું હતું કે ગાયે મારા બાળકને ઢીંક મારીને દૂર ના કર્યો હોત તો આજે મારું બાળક જીવતું ના હોત. ગાયે પોતાના પ્રાણની આહુતિ આપી મારા બાળકનો જીવ બચાવી લીધો છે.