હાલમાં શાહરૂખ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણનું સોંગ ‘બેશરમ રંગ’ રિલીઝ થયું હતું. આ સોંગ રિલીઝ થયા બાદ સોશ્યલ મીડિયા પર ઘણું ટ્રોલ થયું હતું અને ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. આ ફિલ્મની રીલિઝ સામે દેશભરમાં વિરોધ શરૂ થઈ ગયો છે. દરમિયાન ગુજરાતના ફેમસ લોક ગાયક રાજભા ગઢવીએ પણ ઝૂકાવ્યું છે. તેમણે આકારા પાણીએ ચાખબા માર્યા હતા.
‘હિન્દુત્વ સાથે ખરાબ કરવું એવું બોલિવૂડે નક્કી કરી લીધું છે’
રાજભા ગઢવીએ સોશિયલ મીડિયા એક વીડિયો પોસ્ટ કરી આ ફિલ્મનો વિરોધ દર્શાવતા કહ્યું કે, 75 વર્ષથી સનાતન પરંપરાને ખરાબ લગાડવા માટે જે કોશિષ થઈ રહી છે. હમણાં જે શાહરુખનું પઠાણ ફિલ્મ આવે છે એના ગીતનું જે કંઈક રીલિઝ થયું છે, જેમાં ગીત રીલિઝ થયું છે એમા દીપિકાએ ભગવું અને કંઈક પહેર્યું છે એવું કંઈક છે. ગુજરાતમાં આ ફિલ્મ રીલિઝ ન જ થવા દેવી જોઇએ, એ લોકોને બીજો કોઈ ધંધો જ નથી, કંઈકને કંઈક આપણી પરંપરા સાથે, સનાતન ધર્મ સાથે, હિન્દુત્વ સાથે ખરાબ કરવું એવું બોલિવૂડે નક્કી કરી લીધું છે.
75 વર્ષ સુધી કર્યું છે અને હજુ ચાલુ રાખે છે.
‘બધા ગુજરાતીઓ તૈયાર થઈ જાજો’
રાજભા ગઢવીએ ઉમેર્યું કે બધા ગુજરાતીઓ તૈયાર થઈ જાજો, કરણીસેના, મહાકાલ સેના, શિવસેના, બજરંગ દળ જેટલા જેટલા સંગઠનો, સાધુ-સંતો આમા જોડાવ. ભગવા કપડાં પહેરાવી અશ્લીલ ડાન્સ કરી આપણી પરંપરા પર આવુ કરતા આવે છે એ આપણે સહન કરવાનું નથી. એ ફિલ્મ બિલકુલ રીલિઝ નહીં થાય અને નહીં થાય… સેન્સર બોર્ડને આપણે કહીએ બધું જોઇ એના પર સહી કરો તો વધારે સારું, હાથે કરીને શાંતિ ડહોળવાના ધંધા ના કરો.
‘ફિલ્મ ભારતમાં જ નહીં પણ ક્યાંય રીલિઝ ન થવી જોઈએ’
રાજભા ગઢવી આગળ કહે છે કે, આ ફિલ્મ ભારતમાં જ નહીં પણ ક્યાંય રીલિઝ ન થવું જોઇએ. આપણે આપણા ઘરેથી શરૂઆત કરીએ એટલે ગુજરાતનું કહુ છું. બાકી આખા ભારતમાં આ તૈયારી રાખવાની છે, તો દરેક ગુજરાતીઓ તૈયાર જ રહેજો અને આપણી ભાવનાઓ સાથે આવુ શું કામ થાય છે એ પણ પ્રશ્ન પૂછજો એને ભગવા જ હાથમાં આવે છે સીધે સીધા. એની માનસિકતા જ એ છે. ખરાબ ખરાબ ખાય ખાય એની માનસિકતા એવી થઈ ગઈ છે. અંદરથી આવુ જ સુઝ્યા કરે છે. શાહરુખ ખાન અને દીપુડીના ફિલ્મ કે ગીત રીલિઝ થવા દઈશું નહીં. આ સીધી વાત. શું કામ વારંવાર આવું કરે છે એનો જવાબ લેવો પણ જરૂરી છે.
ફિલ્મના કોસ્ચ્યુમ ખૂબ જ વાંધાજનકઃ મધ્યપ્રદેશના ગૃહમંત્રી
બે દિવસ પહેલા મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે ‘ફિલ્મ પઠાણના ગીતમાં અભિનેત્રીના કોસ્ચ્યુમ અને દૃશ્યોને ફરી શૂટ કરવામાં આવે, નહીંતર રાજ્યમાં ફિલ્મને મંજૂરી આપવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.’ મિશ્રાએ કહ્યું હતું કે ફિલ્મના ગીતમાં જે કોસ્ચ્યુમનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પ્રથમ દૃષ્ટિએ ખૂબ જ વાંધાજનક છે. આ ગીત ભ્રષ્ટ માનસિકતાના કારણે ફિલ્માવવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
વિપક્ષના નેતાએ કહ્યું- સેન્સર બોર્ડે કેવી રીતે મંજૂરી આપી?
જ્યારે મધ્ય પ્રદેશ વિધાનસભાના વિપક્ષના નેતા ગોવિંદ સિંહે કહ્યું, તેમણે જે દૃશ્ય જોયું તે અભદ્ર હતું. ભારતીય સંસ્કૃતિ આને સ્વીકારી શકતી નથી. આપણા દેશની પરંપરા નથી કે યુવાનોમાં આ પ્રકારનાં અર્ધ-નગ્ન દૃશ્યો પડદા પર બતાવવામાં આવે. જાણી જોઈને ષડ્યંત્ર હેઠળ આ કરવામાં આવી રહ્યું છે. હું તેની નિંદા કરું છું. ભાજપની સરકારમાં પૈસા આપો, ઓર્ડર લો, આ બધું ચાલી રહ્યું છે. સંસ્કૃતિ તો ભાજપનાં ભાષણોમાં જ છે.
‘દીપિકાએ બિકીની પહેરી સાધુ-સંતો અને ભગવા રંગને ઠેસ પહોંચાડી’
અયોધ્યાના મહંત રાજુ દાસે કહ્યું, “બોલિવૂડ અને હોલિવૂડ સતત એ શોધવાનો પ્રયાસ કરે છે કે સનાતન ધર્મની મજાક કેવી રીતે ઉડાવી શકાય, હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કેવી રીતે કરવું. પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણે બિકીની પહેરીને સાધુ-સંતો અને દેશના ભગવા રંગને ઠેસ પહોંચાડી છે, જે ખૂબ જ દુઃખદ છે.
શાહરુખ ખાન અને દીપિકાનાં પૂતળાં સળગાવાયાં
બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘પઠાણ’ અને તેનું ગીત ‘બેશરમ રંગ…’ સામે ઈન્દોર શહેરમાં એક સંગઠને વિરોધપ્રદર્શન કર્યું અને બંને કલાકાર શાહરુખ ખાન, દીપિકા પાદુકોણનાં પૂતળાં સળગાવાયાં હતાં. ‘વીર શિવાજી ગ્રુપ’ નામના સંગઠનના કાર્યકર્તાઓ ઈન્દોરના માલવા મિલ સ્ક્વેર ખાતે એકઠા થયા હતા અને ‘પઠાણ’ના ‘બેશરમ રંગ…’ ગીતનો વિરોધ કર્યો હતો અને શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણનાં પૂતળાં સળગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી, જે આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે, એવો આરોપ મૂક્યો હતો કે ગીતથી હિંદુ સમુદાયનું અપમાન કરવામાં આવ્યું છે.
‘દુનિયા ગમે બોલે પણ હું પોઝિટિવ છું’
તાજેતરમાં 28માં કોલકાત્તા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરુખ ખાને હાજરી આપી હતી અને તેમને જોઈને ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોલકાત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભમાં પઠાણ વિવાદ પર શાહરૂખે આપી પોતાની પ્રથમ પ્રતિક્રિયાઆપી હતી. તેમણે આ વિવાદ પર જવાબ આપતા કહ્યું હતું કે, ” દુનિયા ગમે તે બોલે પણ હજુ તમે, હું આપણે સૌ પોઝિટિવ છીએ”
કિંગ ખાન ‘પઠાણ’ માટે વૈષ્ણોદેવી ને મક્કા ગયો
શાહરુખ ખાન ‘ડંકી’નું શૂટિંગ પૂરું કરીને મક્કા ગયો હતો. અહીં તેમણે ઈસ્લામી તીર્થ યાત્રા ઉમરાહ કર્યા હતા. ત્યારબાદ 11 ડિસેમ્બરે વૈષ્ણોદેવીના મંદિરે ગયો હતો.
25 જાન્યુઆરીએ રીલિઝ થશે ફિલ્મ
25 જાન્યુઆરી, 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થનારી’ ‘પઠાણ’ માં શાહરૂખ ખાન જાસૂસ તરીકે જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ માત્ર હિન્દી જ નહીં પરંતુ તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. તો આ વચ્ચે ‘પઠાણ’ની રિલીઝ પહેલાં તેના સિક્વલ બનાવવાનું નક્કી થઇ ગયું છે.