અમદાવાદઃ એકવાર વજન વધી જાય પછી જલ્દીથી ઉતરતું નથી. આજની ફાસ્ટ લાઈફને કારણે વ્યક્તિ પોતાનું ધ્યાન પણ બરોબર રાખી શકતો નથી. આથી જ આજે અમે તમને એવા ઘરગથ્થુ ઉપાયો કહીશું, જેનાથી તમારું વજન ચોક્કસથી ઉતરશે. આટલું જ નહીં વજન ઉતર્યાં બાદ પણ તમે આ ઉપાયો અજમાવશો તો પણ વાંધો આવશે નહીં.
વજન ઉતારવા માટેની 10 ટિપ્સઃ
- (1) સવારે ઉઠીને એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી શેકેલી અથવા તો કાચી વરિયાળી લઈને ઉકાળો. 10થી 15 મિનિટ સુધી આ પાણીને મધ્યમ આંચ પર ઉકાળો અને ઠંડુ થયા બાદ ગળ્યાં વગર જ આ પાણી પી લો. સતત ત્રણ મહિના સુધી આ પાણી પીવું જોઈએ. એક વાતનું ધ્યાન રાખવું કે વરિયાળીનો ગુણધર્મ ઠંડો છે, એટલે જેમની કફ પ્રકૃતિ હોય તેમણે આ ઉપાય માત્ર ઉનાળામાં જ કરવો. જો એક બે દિવસ બાદ આ પાણી પીવાથી શરદી કે કફ થાય તો આ ઉપાય કરવો નહીં. વજન ઉતર્યા બાદ પણ આ પ્રયોગ ચાલુ રાખી શકાય તેમ છે. જોકે, જેમને વરિયાળી માફક ના આવતી હોય તેમણે આ પ્રયોગ કરવો જ નહીં.
- (2) શિયાળો ચાલી રહ્યો છે અને ગુંદ ભરપૂર પ્રમાણમાં મળતો હોય છે. ગુંદરને પાણીમાં ઉકાળો અને સહેજ ઠંડુ થયા બાદ પીવો. આ રીતે દિવસમાં ગમે ત્યારે બેવાર આ પ્રયોગ કરો. આનાથી વજન પણ ઉતરશે અને શરીર પણ મજબૂત થશે. ગુંદર ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે.
- (3) એકાઈરેન્થસ એસ્પેરા (લટજીરા નામની વનસ્પતિ) ના બીજા ભેગા કરીને માટીના વાસણમાં મધ્યમ આંચ પર ઉકાળીને ચાવી જાવ. આ બીજ એક-એક ચમચી દિવસમાં બેવાર શેકીને ખાવ. આ વનસ્પતિ ઘણી જ ફાયદાકારક છે અને તેનાથી ફટોફટ વજન ઉતરે છે. આટલું જ નહીં અસ્થમાથી પીડિત લોકો માટે આ વનસ્પતિના બીજ ઘણાં જ ફાયદાકારક છે.
- (4) હરેડ અથવા બહેડા (બેમાંથી એક) નો પાવડર બનાવીને એક ચમચી ફાકી જવાથી વજન ઉતરે છે. આટલું જ નહીં આ ફાકીને પરવરના રસ સાથે મિક્સ કરીને પીવામાં આવે તો ઝડપથી પરિણામ આપે છે.
- (5) ઉનાળામાં કારેલાનું શાક અઠવાડિયામાં બેથી ત્રણ વખત ખાવામાં આવે તો વજન નિયંત્રણમાં રહે છે. કારેલાનું શાક બનાવતી વખતે તેમાં ખાંડ કે ગોળ નાખવો નહીં.
- (6) મધ વજન ઉતારવામાં સૌથી અસરકારક છે. સામાન્ય રીતે લોકો મધને ગરમ પાણીમાં નાખીને પીતા હોય છે. જોકે, મધ ક્યારેય ગરમ પાણીમાં નાખી શકાય નહીં, જે ધીમા ઝેર જેવું કામ કરે છે. નોર્મલ પાણીમાં મધ તથા લીંબુ નીચોવીને પીવાથી વજન ઉતારે છે. રોજ સવારે નરણે કોઠે આ ઉપાય કરવો.
- (7) ફુદીનાની ચા પીવાથી પણ વજન ઉતરે છે અને નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત ફુદીનાની ચટણી તથા રોટલી ખાવાથી પણ વજન ઘટે છે.
- (8) તજ, કાળા મરી તથા સૂંઠ ત્રણેય સરખા પ્રમાણમાં લઈને શેકી નાખવા તથા પછી મિક્સરમાં ક્રશ કરવા. આ પાવડરને રોજ સવારે ખાલી પેટે પાણી સાથે લેવો અને રાત્રે સૂતા પહેલાં આ પાવડર લેવો. આનાથી વજન ફટોફટ ઉતરશે.
- (9) શિયાળામાં ગાજર પુષ્કળ માત્રામાં મળે છે. રોજ જમતી વખતે એક ગાજર ખાવું. ગાજર પણ વજન ઉતારવામાં ફાયદાકારક છે.
- (10) વરિયાળી, કલોંજી, અળસી, જીરૂ, અજમો, મેથી આ તમામ વસ્તુઓ શેકીને મિક્સરમાં પીસી લો. સવારે ખાલી પેટે અને રાત્રે સૂતા પહેલાં હુંફાળા પાણી સાથે આ લો. આ વજન ઉતારવામાં કારગર છે.