મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના ઉર્તી ગામમાં તાજેતરમાં જ થયેલ એક મર્ડર કેસનો પોલીસે ખુલાસો કર્યો છે. જેમાં તેની પત્નીએ જ પતિનું ખૂન કર્યું છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી દીધી છે અને તેને જેલમાં મોકલી દીધી છે. ગામના બીરેન્દ્ર ગુર્જનનું ગત 21 ફેબ્રુઆરીએ જ શબ મળ્યું હતું. મૃતકના ગળા અને ગુપ્તાંગ પર ઘાનાં નિશાન પણ હતાં.
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અરૂણ પાંડેયે જણાવ્યું કે, મૃતકની પત્ની કંચન ગુર્જરે જ પોલીસ સ્ટેશન પર અજાણી વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી પોલીસ આ હત્યાના પગેરૂ શોધી રહી હતી. આ દરમિયાન પોલીસે આ મૃતકના નજીકના સંબંધીઓ અને સગાંની પણ શકના આધારે પૂછપરછ કરી અને ઊંડાણપૂર્વક તપાસ કરી.
આ દરમિયાન પોલીસને સૌથી વધારે શક મૃતકની પત્ની પર પડ્યો. પોલીસે જ્યારે તેની કડકાઈની પૂછપરછ કરી ત્યારે કંચને પોતાનો ગુનો કબૂલી દીધો. મૃતક બીરેન્દ્ર ગુર્જરની પત્ની કંચને ખુલાસો કરતાં પોલીસને જણાવ્યું કે, તેનો પતિ નશાનો આદી હતો અને નશાની હાલતમાં તેને બહુ હેરાન-પરેશાન કરતો હતો.
તેનાથી કંટાળીને જ કંચને પતિની હત્યાનું કાવતરું ઘડ્યું અને 21 ફેબ્રુઆરીએ રાત્રે પતિના ભોજનમાં ઊંઘની 20 ગોળીઓ મિક્સ કરી દીધી. પતિ ઊંઘી ગયો પછી તેણે પોતાના કાવતરા અનુસાર હત્યા કરી.
પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મહિલાએ પહેલાં તો કુહાડીથી પતિના ગળા પર અનેક ઘા કર્યા. ત્યારબાદ ધારદાર હથિયારથી ગુપ્તાંગ પર પ્રહાર કરી પતિની હત્યા કરી નાખી. પતિની હત્યા બાદ કંચને જ પતિના શબને કપડામાં લપેટી રસ્તાના કિનારે ફેંકી દીધું. એટલું જ નહીં, પૂરાવાનો નાશ કરવા માટે મૃતકનાં કપડાં અને ચપ્પલને પણ સળગાવી માર્યાં.
પોલીસના જણાવ્યા અનુસાર, કંચન ગુર્જર મૃતક બીરેન્દ્રની પાંચમી પત્ની હતી. આ પહેલાં ચાર પત્નીઓ તેનાથી કંટાળીને જતી રહી હતી. કંચને પણ પતિથી કંટાળીને જ તેની હત્યા કરી હતી.