ગાંધીનગરના બોરીજમાં પ્રણય ત્રિકોણમાં પરિણીતાની હત્યા તેના જેઠ ફુલાજી વીરમજી ઠાકોરે જ ગળું દબાવીને કરી હોવાનો પોલીસ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. મધરાત્રે પ્રેમી સાથે પ્રણયના ફાગ ખેલતી વખતે આખો પરિવાર ઘરે આવી પહોંચતા પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો. જેનાં પગલે જેઠ ફુલાજી એ તેના નાના ભાઈની પત્નીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દઈ પ્રેમીએ હત્યા કરી હોવાની ખોટી થિયરી ઉભી કરી હતી.
ગાંધીનગરમાં બોરીજ ગામમાં મધરાતે નીકીતા રાહુલ ઠાકોરની કરપીણ હત્યા કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ હત્યા પ્રકરણમાં પોલીસે જેઠ ફુલાજી ઠાકોરની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. 26 મી માર્ચના રોજ ગામમાં લગ્ન પ્રસંગ હતો. આથી રાહુલ વીરમજી ઠાકોર, તેનો ભાઈ ફુલાજી ઠાકોર, સાસુ ભીખીબેન, જેઠાણી ગીતાબેન રસોડામાં ગયા હતા. જ્યારે રાત્રીના સમયે નીકીતા ઘરમાં એકલી જ હતી. જેનો લાભ ઉઠાવીને પ્રેમી રાજુજી ઠાકોર ઘરમાં ઘૂસી ગયો હતો અને બન્ને એકલતાનો લાભ ઉઠાવી પ્રણયના ફાગ ખેલી રહ્યા હતા.
આ દરમિયાન મધ્યરાત્રે આખો ઠાકોર પરિવાર ઘરે આવી ગયો હતો. એ વખતે સાસુ ભીખીબેને ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી જલ્દી દરવાજો ખોલવામાં આવ્યો ન હતો. જેથી તેમણે પોતાના મોટા પુત્ર ફુલાજીને વાત કરી હતી. એટલામાં પ્રેમી ઘરનો દરવાજો ખોલીને ભાગ્યો હતો. જેને ફુલાજીએ પકડી પાડી ત્રણ ચાર લાફા ઝીંકી દીધા હતા. પરંતુ રાજુ છટકીને ભાગી ગયો હતો.
બાદમાં પરિવારના સભ્યોએ નીકીતાને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. જ્યારે જેઠ ફુલાજી ઠાકોરે નીકીતા સાથે મારઝૂડ કરીને ગળું દબાવી દીધું હતું અને જોતજોતામાં નીકીતાનાં નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમ છતાં ફુલાજી ગળું દબાવી રાખી તેની હત્યા કરી દીધી હતી.
બીજી તરફ હત્યા પ્રકરણમાં સ્થળ પર પહોંચેલી પોલીસને આખા પરિવારે ગેરમાર્ગે દોરીને પ્રેમી રાજુએ ગળું દબાવીને હત્યા કરી હોવાની થિયરી વર્ણવી હતી. આ બનાવની જાણ થતાં નીકીતાનાં પિયરમાંથી પણ સગા વહાલા દોડી આવ્યા હતા. એ વખતે પણ નીકીતાનાં ભાઈને જીજાજી રાહુલે પણ રાજુએ હત્યા કરી હોવાની કહાની વર્ણવી હતી.
મૃતકના નિકીતાના ભાઈ કિશન ઠાકોરે શંકા રાખી પ્રેમી રાજુ, પતિ રાહુલ, જેઠ ફુલાજી, જેઠાણી ગીતા અને સાસુ ભીખીબેન વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. જેનાં પગલે પોલીસે ફુલાજીની કડકાઈથી પૂછતાંછ હાથ ધરતાં તેણે જ હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આથી પોલીસે હાલમાં ફુલાજી ઠાકોરની ધરપકડ કરી વધુ પૂછતાંછ હાથ ધરવામાં આવી રહી છે.