નર્મદા: ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક જ જોરદાર બસ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અંદાજે 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીને હેલિકોપ્ટરની મદદથી વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલથી અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યા હતાં.
કેવડિયાના જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે, આ બસ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીઓની સારવારનો ખર્ચ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ભોગવશે. શનિવારના રોજ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે પ્રવાસીઓ માટેની પ્રવાસી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અંદાજિત 20 જેટલા પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતની આ ઘટના અંગે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત પ્રવાસીઓને ગરુડેશ્વર સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાં તેઓને જરૂરી સારવાર આપીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ પ્રવાસીઓ પૈકી વડોદરાના રહેવાસી 18 વર્ષીય કિન્નરીબેન પટેલને ગંભીર ઈજા થતાં તાત્કાલિક એમ્બુલન્સ મારફતે વડોદરા શિફ્ટ કરાયા હતાં.
પ્રવાસીઓ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનો આગ્રહ રાખવામાં આવતાં તેઓને ગ્લોબલ હોસ્પિટલ વડોદરા લઈ જવામાં આવ્યા હતા. તે પૈકી કિન્નરીબેન પટેલ નામના પ્રવાસીને વધુ સારવાર અર્થે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના હેલિકોપ્ટરથી વડોદરાથી અમદાવાદ શિફ્ટ કરાયા હતાં.
આ ઉપરાંત પ્રવાસી ગોરધનભાઇ ગોવિંદભાઇ હિરાણીને આંખમાં વધારે ઇજા થયાનું જણાતાં તેઓને નગરી આંખની હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે. તમામ પ્રવાસીઓનો સારવાર માટેનો ખર્ચ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા ભોગવવામાં આવશે.