મુંબઈઃ ભારતીય રિઝર્વ બેંક દ્વારા સામાન્ય વ્યક્તિને રાહત આપતા RTGS દ્વારા પૈસા મોકલવાનો સમય દોઢ કલાક વધારીને સાંજે 6.00 કલાક સુધીનો કરી દેવામાં આવ્યો છે. આ નિયમ 1 જૂનથી લાગુ થશે. RBI દ્વારા મંગળવારે આ જાહેરાત કરવામાં આવી હતી.
હાલ RTGS દ્વારા સાંજે 4.30 કલાક સુધી જ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) વ્યવસ્થા અંતર્ગત એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાનું કામ તાત્કાલિક થતું હતું. RTGSનો ઉપયોગ મુખ્યત્વે મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે જ થાય છે. જેના અંતર્ગત ઓછામાં ઓછા રૂપિયા 2 લાખ મોકલી શકાય છે અને વધુમાં વધુ રકમ મોકલવાની કોઈ જ મર્યાદા નથી.
RBI દ્વારા કરાયેલી જાહેરાતમાં જણાવાયું છે કે, RBIએ RTGS દ્વારા ગ્રાહકોને પૈસાની હેર-ફેરનો સમય સાંજે 4.30 કલાકથી વધારીને 6.00 કલાક કરવાનો નિર્ણય લીધો છે. RTGSની આ સુવિધા 1 જૂનથી નાગરિકોને ઉપલબ્ધ કરી શકશે અને તમામ બેંકોએ આ નિયમનો અમલ કરવાનો રહેશે.