ગુજરાતમાં TRB જવાનો હાલ ચર્ચામાં છે. સુરતમાં યુવા વકીલ મેહુલ બોઘરા પર ટીઆરબીના સુપરવાઈઝર દ્વારા થયેલા હુમલાને લઈને ટ્રાફિક બંદોબસ્ત કરતાં જવાનો ચર્ચામાં આવ્યાં છે. ત્યારે સુરત સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સીમાડા ચાર રસ્તા પાસે એક બાઇકચાલકને ખેંચ આવી હતી. જેથી તે નીચે પટકાયા બાદ હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ તેને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પ્રાથમિક સારવાર કરનાર ટ્રાફિક જવાનોની માનવતાનો ચહેરો પણ સામે આવ્યો છે.
પ્રાથમિક મદદ કરી
સરથાણામાં રિઝીયન-1માં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સકતા નરસંગભાઇ તેમજ અન્ય સ્ટાફ કામગીરીમાં હતા, ત્યારે સીમાડા ચાર રસ્તા પાસે રાકેશભાઇ ઠાકરભાઇ ડાંખરા નામના વ્યક્તિને બાઇક ચલાવતા સમયે ખેંચ આવી હતી. જેથી તેઓ નીચે પડી ગયા હતા. ત્યારે ત્યાં હાજર ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ તેના હાથ અને પગ ઘસીને તેને પ્રાથમિક રીતે મદદ કરી હતી.
હોસ્પિટલમાં પહોંચાડી જીવ બચાવ્યો: ટ્રાફિકનું સંચાલન કરનારા જવાનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવીને રાકેશભાઇને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.
જેથી સમયસર બાઈક ચાલક રાકેશભાઈને સારવાર મળી રહેતા તેનો જીવ બચી ગયો હતો. તો બીજી તરફ ટ્રાફિક સંચાલન કરનારા જવાનોની માનવતાની છબી પણ લોકોની સામે આવી હતી.