ભરૂચ: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. જોકે ભારે વરસાદના કારણે ગુજરાતના ઘણાં ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે. આવા ગામમાં લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવતા હોય છે. તો આવી જ ઘટના ભરૂચ જિલ્લાના જરસાડ ગામમાં બની હતી. જ્યાં વરસાદના કારણે ગામ સંપર્ક વિહોણું બનતાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
મહત્વની વાત એ છે કે, જ્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં PSI જયદિપસિંહ જાદવે પોતાના જીવન જોખમે લોકોને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતાં. બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત 30થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરીને સહી સલામત બહાર કાઢ્યા હતા.
PSI જયદિપસિંહ જાદવ દ્વારા પાણીની વચ્ચે રહેલ દોરડું પકડીને લોકોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા હતાં. આ દરમિયાના નાના બાળકોને તેમણે ઊંચકી લીધા હતાં. જયદિપસિંહ જાદવના આ બહાદુરીભર્યાં કામની ઘણી પ્રશંસા થઈ રહી છે. નોંધનીય છે કે, વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ ત્યારે પણ એક પોલીસ અધિકારીએ પણ રેસ્ક્યુ કરીને લોકોને બચાવ્યા હતાં.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બહાદુરી ભર્યાં કામ બદલ જયદિપસિંહ જાદવ સાથે ટેલિફોનિક વાત કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતના પોલીસ અધિકારીએ આવી રીતે બહાદુરીથી લોકોનું રેસ્ક્યુ કર્યું હોય તેવી પ્રથમ ઘટના નથી. આ પહેલા બે પોલીસ કર્મીએ આવી રીતે બહાદુરી બતાવી હતી. જે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા.