હરિયાણાની ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટના મોત મામલે એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. ગોવા પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સોનાલી ફોગાટને લિક્વિડમાં મીક્સ કરીને ડ્રગ્સ પીવડાવવામાં આવ્યું હતુ. ગોવાના આઈજી ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યું કે સોનાલીના પોસ્ટમોર્ટમ બાદ અમે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
આઈજી ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યું કે સોનાલી ફોગાટના ભાઈની ફરિયાદ બાદ અમે હત્યાનો કેસ નોંધ્યો હતો અને અમે દરેકના નિવેદન લીધા અને તે સ્થળોની મુલાકાત લીધી, જ્યાં તે ગઈ હતી, આરોપીઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે સોનાલી ફોગાટને બળજબરીથી કોઈ પદાર્થ આપવામાં આવ્યો હતો.
ગોવા પોલીસના આઈજી ઓમવીર સિંહે જણાવ્યું કે સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સ પીવડાવવામાં આવ્યું હતું, ત્યારબાદ તેની તબિયત લથડી હતી.સવારે 4:30 વાગ્યે જ્યારે તેને ભાન ન રહ્યું, ત્યારે આરોપી તેને ટોયલેટમાં લઈ ગયો હતો, 2 કલાક સુધી તેણે શું કર્યું? આ બાબતે આરોપીએ જવાબ આપ્યો નથી, અમે તમામ સીસીટીવી ફૂટેજ જોયા છે અને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
આઈજી ઓમવીર સિંહે કહ્યું કે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ફોરેન્સિક ટીમ સાથે તેમને ઘટનાસ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. અમને લાગે છે કે જે તેને બળજબરીપૂર્વક ડ્રગ્સ આપવામાં આવ્યું હતું, તેનાથી જ તેનું મોત થયું છે, તે પાર્ટીમાં વધુ બે યુવતીઓ પણ હતી. જેમની ઓળખ થઈ ગઈ છે અને તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે.
સોનાલી ફોગાટના શંકાસ્પદ મોત પાછળ ષડયંત્રની આશંકા પહેલા દિવસથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. સોનાલીના ભાઈ રિંકુ ઢાકાએ ગોવાના અંજુના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં બે લોકો પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જેનો પુરાવો હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આપી રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે સોનાલીના શરીર પર ઈજાના ઘણા નિશાન છે.
આ સાથેજ મૃત્યુ બાદ સોનાલી ફોગાટનું શરીર પણ વાદળી પડી ગયું હતું. ફોરેન્સિક ટીમ આ મામલે કેમિકલની તપાસ કરી રહી છે. એટલે કે હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ પુરી રીતે આવ્યો નથી. સોનાલીના ભાઈના જણાવવાથી તે બે લોકોનો પર્દાફાશ થઈ ગયો હતો. જેમને આ ષડયંત્રના સૌથી મોટા આરોપી કહેવામાં આવી રહ્યા છે.
આ છે સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન અને તેના પાર્ટનર સુખવિંદર વાસી. રિંકુ ઢાકાના જણાવ્યા મુજબ સોનાલી ફોગાટનું યૌન શોષણ અને તેની સંપત્તિ પર કબજો કરવાના કાવતરા પાછળ સુધીર અને સુખવિન્દરનો જ હાથ હોવાનું કહેવાય છે. ત્યાં સુધી કે આ બંને પર તેની હત્યાનો પણ આરોપ છે.