નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પરિણામ હવે ક્લિયર થઈ ગયા છે. નરેન્દ્ર મોદી ફરી એક વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી નરેન્દ્ર મોદીને શુભકામનાઓ આપી હતી અને સાથે જ તેમણે અમેઠી બેઠક પર પોતાની હાર પણ સ્વીકારી લીધી હતી. લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી છે.
રાહુલ ગાંધીએ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સામે પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપાવાની ઓફર કરી છે. જોકે અત્યારે સોનિયા ગાંધી અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ સમજાવ્યું હતું કે આ બધી વાતો પાર્ટી ફોરમમાં રાખવી જોઈએ, ત્યાર બાદ રાહુલ ગાંધી એ રાજીનામાની પ્રક્રિયા હાલ પૂરતી ટાળી છે.
રાહુલે લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘‘આજે સ્મૃતિજી અમેઠીમાં જીત્યા છે. હું તમને શુભેચ્છા પાઠવું છું.’’ જોકે ખાસ વાત એ છે કે હજી સુધી અમેઠી બેઠકનું ફાઈનલ રિઝલ્ટ આવ્યું નથી, એ પહેલા જ રાહુલ ગાંધીએ હાર માની લીધી છે.
રાહુલે વધુમાં કહ્યું, ‘‘હું નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા આપું છું. પ્રજા માલિક છે અને માલિકે ઓર્ડર આપ્યો છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી હતી, હું તેમનો પણ આભાર માનું છું. આ અમારી અને નરેન્દ્ર મોદીની વિચારધારાની લડાઈ છે. નરેન્દ્ર મોદીની એક વિચારધારા છે અને અમારી એક વિચારધારા છે. વિચારધારાની આ લડાઈમાં મોદી-બીજેપી જીત્યા છે તો હું તમને શુભેચ્છા આપું છું.’’