ઉત્તર પ્રદેશના લખનઉમાં ગત રવિવારે પ્રિયદર્શિની નારાયાણ નામની એક યુવતીએ જાહેરમાં સાદત અલી નામના કૅબ ડ્રાઇવરને ધડાધડ 22 લાફા ચોડી દીધા હતાં. એટલું જ નહીં યુવતીએ ડ્રાઇવરનો મોબાઇલ ફેંકી દીધો અને કારનો કાચ પણ તોડી નાખ્યો હતો. યુવતીએ કૅબ ડ્રાઇવર પર એવો આરોપ લગાવ્યો હતો કે, તે જ્યારે રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે તેને કારની ટક્કર લાગી હતી. જેને લીધે મહિલા ગુસ્સે થઈ અને કૅબ ડ્રાઇવરનો કાંઠલો પકડીને કારમાંથી બહાર કાઢ્યો અને જાહેરમાં તેને લાફા ઝીંકી દીધા હતાં. યુવતીએ લાફા માર્યા છતાં યુવકે મહિલા સામે એક વાર પણ ના હાથ ઉપાડ્યો અને એકદમ વિનમ્રભાવથી માફી માગતો હતો અને કહેતો હતો કે, મારો વાંક નથી. છતાં યુવતી તેને જાહેરમાં મારતી હતી.
જોકે, CCTV ફૂટેજ સામે આવતાં છોકરીનો જ વાંક હોવાની પુષ્ટી થઈ હતી. આ પછી સોશિયલ મીડિયામાં નિર્દોષ કૅબ ડ્રાઇવરને ન્યાય અપાવવા માટે લોકોએ અભિયાન છેડી દીધું હતું. આ પછી કૅબ ડ્રાઇવરને વગર વાંકે લાફા ઝીંકનારી યુવતી સામે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, થોડાંક મહિના પહેલાં પણ બેંગલોરની એક મહિલાએ ફૂડ ડિલીવરી બોય પર તેને મારવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. જે બાદ મહિલાનો જ વાંક હોવાનું સામે આવ્યું હતું. મહત્ત્વનું છે કે, સાદતે આ ઘટના અંગે વિસ્તાર પૂર્વક વાત કરી હતી અને તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેમને લાફા મારતી મહિલા પર કેમ હાથ ઉપાડ્યો નહીં.
શું હતી સમગ્ર ઘટના?
સાદત અલીએ સમગ્ર ઘટનાનું વર્ણન કરતાં જણાવ્યું કે, ‘‘ હું ક્રિષ્નાનગરથી મારા ઘરે જઈ રહ્યો હતો. આલમબાગ ક્રોસ રોડ પર સિગ્નલ હતું, ત્યારે એક મેડમ ચાલુ સિગ્નલે ક્રોસ કરી રહી હતી. તે મહિલા પહેલાં ટ્રકથી બચી પછી બાઇકથી બચી અને જ્યારે રેડ સિગ્નલ થયું ત્યારે મેં ઝેબ્રા ક્રોસિંગ પાસે કાર ઊભી રાખી દીધી હતી. મેં ગાડી ઊભી રાખી ત્યારે તે મહિલા આગળ જતી હતી, છતાં તે પાછી આવી અને ગાડીને મારવા લાગી અને એવું બોલી કે, તું મને મારવા આયો છું, આ પછી તે મહિલા મારી જોડે આવી અને સૌથી પહેલાં મારા ડૅશબોર્ડમાંથી રૂપિયા લઈ લીધા હતાં. આ પછી મારો મોબાઇલ ઝૂંટવી લીધો અને રોડ પર પછાડ્યો હતો. આ પછી મેં કારનો દરવાજો ખોલ્યો અને મેં કહ્યું કે, મેડમ મારી શું ભૂલ છે?, છતાં હું તમને સોરી કહું છું. છતાં નિષ્ઠુર મહિલા મને એક પછી એક લાફા જ મારતી હતી. ’’
‘‘ મારે પોતાની સેલ્ફ રિસ્પેક્ટ પાછી જોઈએ છે’’
સાદત અલીએ વધુમાં કહ્યું કે, ‘‘ આ ઘટનામાં મારો વાંક ના હોવા છતાં મારું આત્મ સન્માન ઘવાયું છે. હવે મારે પોતાની સેલ્ફ રિસ્પેક્ટ પાછી જોઈએ છે. આ મહિલાને મુજબ સજા થાય એટલે મેં પોલીસ ફરિયાદ કરી છે પણ, પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. મારો કોઈ વાંક નહોતો છતાં કેમ મને જેલમાં 24 કલાક પુરી દીધો હતો તે તંત્રને મારો સવાલ છે. આ મહિલા પર કાર્યવાહી કરી એને કડક સજા કરવામાં આવે.’’
‘‘આ ઘટના હું અને મારો પરિવાર ક્યારેય ભૂલી શકીશું નહીં’’
‘સાદતે એમ પણ કહ્યું કે, ‘મારા ઘરમાં હુ અને મારી માતા છીએ. પિતા ગુજરી ગયા હોવાથી ઘરની તમામ જવાબદારી મારા પર છે. હું આ ઘટના મરી ગયા પછી ભૂલી જઈશ. એ પછી હું તો હોઈશ નહીં, પણ મારા ઘરાવાળા હશે, તે પણ આ ભૂલી શકશે નહીં. આ મહિલાએ મારી આખી લાઇફ ખરાબ કરી દીધી છે. મારે હવે ન્યાય જોઈએ છે.’’
‘‘ઘરવાળાને મારા પર વિશ્વાસ હોતો કે, હું આવું કરું જ નહીં’’
આ ઘટના અંગે ઘરવાળાના પ્રતિક્રિયા અંગે સાદત અલીએ વાત કરતાં જણાવ્યું કે, ‘‘આ ઘટના સામે આવ્યા પછી ઘરવાળાને વિશ્વાસ હતો કે, અમારો દીકરો આવું કરી શકે નહીં. જોકે, મને તો જેલમાં પુરીને કોઈને ફોન પણ ના કરવા દીધો. પોલીસે મારો કોઈ પક્ષ પણ સાંભળ્યો નહીં. મહિલાએ મને માર્યો ત્યારે હું તેની સામે જરા પણ હાથ ઉપાડે તો મારા પર કેટલીય કલમ લગાડી દેત અને મારી જિંદગી ખરાબ થઈ જાત.’’
‘‘મારા માતા-પિતાના સંસ્કારના લીધે મહિલા પર હાથ ના ઉપાડ્યો’’
સાદતે લાફા મારનારી મહિલા સામે કેમ હાથ ના ઉપાડ્યો તે અંગે કહ્યું કે, ‘‘ મારા માતા-પિતાએ કોઈ મહિલાને મારતાં શીખવાડ્યું નથી. મારી માએ પણ મને શીખવાડ્યું છે કે, કોઈ મહિલા સામે ગેરવર્તન ક્યારેય ના કરવું. બસ હવે મારે ન્યાય જોઈએ છે અને તે મહિલા સામે કડક કાર્યવાહી થાય. જો તે મહિલા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં તો હું આત્મહત્યા કરી લઈશ.’’
‘‘આ ઘટના પછી કૅબ ડ્રાઇવર મહિલા પર વિશ્વાસ નહીં કરે’’
સાદતે એમ પણ કહ્યું કે, ‘‘આ ઘટના પછી દરેક કૅબ ડ્રાઇવર મહિલાને કૅબમાં બેસાડતાં પહેલાં ડરશે અને તેમનું બૂકિંગ પણ કરશે નહીં. જ્યારે જેનો વાંક છે તેનો કોઈ સજા નહીં અને નિર્દોષને સજા કરાશે ત્યારે કોઈના પર વિશ્વાસ રહેશે જ નહીં. જેને લીધે કંપનીને પણ મોટું નુકસાન થશે.’’