અમદાવાદ: જમ્મુ-કાશ્મીર હવે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. આ સાથે જ લદ્દાખને પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશના સ્વરૂપમાં જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવાયું છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન વિધેયક 2019 રજૂ કર્યું હતું જે રાજ્યસભામાં 125 સામે 61 વોટથી પસાર થયું છે. હાલ આ મામલે દેશભરમાં ઊજવણીનો માહોલ છે. કોંગ્રેસના બે કદાવર પાટીદાર નેતાઓએ પક્ષથી વિરૂદ્ધ જઈને આ બીલને સમર્થન કર્યું છે.
કોંગ્રેસના યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસને સમર્થન કર્યું છે. વસોયાએ પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર અને હાર્દિક અનઓફિશિયલ પેજ પર પોતાના ફોટા સાથેની પોસ્ટ મૂકી અને ભારતની એકતા અને અખંડતાના મુદ્દે કેન્દ્રની એનડીએ સરકારે પસાર કરેલા વિધેયકનું સમર્થન કર્યું છે.
લલિત વસોયાએ ફેસબુક પર પોસ્ટ મૂકી કે ‘કાશ્મીર મુદ્દે રાષ્ટ્રહિતમાં કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય કરાયો છે તે બરાબર છે. મારું ભારત અખંડ ભારત’. જ્યારે હાર્દિક પટેલની અનઓફિશિયલ પ્રોફાઈલ પર પણ પોસ્ટ જોવા મળી હતી જોકે આ પેજ હાર્દિક પટેલ દ્વારા સંચાલિત છે કે નહીં તેની ખાત્રી થઈ શકી નથી પરંતુ હાર્દિકના ઓફિશિયલ બ્લૂ ટીકમાર્ક ધરાવતાં પેજ પહેલાં આ પેજ પરથી જ પોસ્ટ મૂકવામાં આવતી હતી.