મુંબઈઃ ‘તારક મહેતા’માં ડો.હાથી બનતા કવિ કુમાર આઝાદનું નવ જુલાઈ, 2018ના રોજ તેમના ઘરે હાર્ટ એટેકેને કારણે નિધન થયું હતું. માત્ર 46ની ઉંમરમાં કવિ કુમારનું નિધન થતાં ચાહકો તથા સેલેબ્સને ઘેરો આઘાત લાગ્યો હતો. જોકે, માનવામાં આવે છે કે વધેલું વજન તેમના મોતનું કારણ બન્યું હતું.
2010માં સર્જરી કરાવી હતી
ડો.હાથીની ગુજરાતી ડોક્ટર મુફી લાકડવાલાએ બેરિયાટ્રિક સર્જરી કરી હતી. જોકે, તે સમયે પણ તેઓ વજન ઘટાડવા માગતા નહોતાં. કારણ કે તેઓ માનતા હતાં કે વજન ઉતારવાથી તેમને કામ મળે નહીં. 2010માં જ્યારે કવિ કુમારને ડોક્ટર પાસે લાવવામાં આવ્યા ત્યારે તો મૃતપાય અવસ્થામાં હતાં. તે સમયે તેમનું વજન 265 કિલ હતું. તેમને 10 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. તેઓ શ્વાસ પણ લઈ શકતા નહોતાં.
140 કિલો વજન થયું
ડો. મુફીએ કહ્યું હતું કે સર્જરી બાદ તેઓ સાજા થઈ ગયા હતાં અને તેમનું વજન 140 કિલો જેટલું થઈ ગયું હતું. જોકે, તેમણે લાઈફ સ્ટાઈલ સુધારી નહોતી અને તેઓ સહેજ પણ ચરી પાડતા હતાં. દારૂ પીવાનું પણ બંધ કર્યું નહોતું. તેમને બીજીવાર બેરિયાટ્રિક સર્જરી કરાવવાની સલાહ આપી હતી. જોકે, તેઓ સહેજ પણ તૈયાર નહોતાં.
વજન 20 કિલો વધી ગયું
સર્જરી બાદ તેમનું વજન 20 કિલો વધી ગયું હતું. તેમને કેમેરાની સામે પેડિંગનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. તેમનું વજન 160 કિલો થઈ ગયું હતું. બીજીવાર સર્જરી કરી હોત તો તેમનું વજન 90 કિલોની આસપાસ રહેત. જોકે, તેમને કામ ના મળવાનો ડર હતો અને તેઓ લાઈફ સ્ટાઈલ બદલવા પણ તૈયાર નહોતાં. જો તેમણે બીજીવાર સર્જરી કરાવી લીધી હોત તો આજે તેઓ જીવિત હોત એ નક્કી.