કેનેડામાં એક પંજાબી યુવકે આત્મહત્યા કરી લીધી. આપઘાતની આ ઘટનાએ હાલ સોશિયલ મીડિયા પર ચકચાર મચાવી દીધો છે. હાલ, આ યુવકનું આ પગલું ભરવા પાછળના કારણ વિશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ યુવક આર્થિક સ્થિતિ ખરાબ થવાના કારણે માનસિક રીતે પરેશાન હતો. કેનેડામાં રહેતા તેમના સાથીઓ હાલ આ યુવકના મૃતદેહને ભારત મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મૃતકની ઓળખ પટિયાલાના ગામ ગગ્ગાના રહેવાસી અર્શદીપ વર્મા તરીકે થઈ છે.
વર્ષ 2019માં મેં મહિનામાં અર્શદીપ વર્મા સ્ટડી વિઝા પર કેનેડા આવ્યો હતો. અહીં તે ઓન્ટારિયોની કેમ્બ્રિજ કોલેજમાં અભ્યાસ કરતો હતો, પરંતુ કોરોનાકાળના કારણે તે ખૂબ જ લાંબા સમયથી આર્થિક સંકડામણથી પીડાઈ રહ્યો હતો, જેના કારણે તે ડિપ્રેશનનો શિકાર બન્યો હતો અને તેના કારણે જ તેણે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હતું.
યુનિવર્સિટી કોલેજ બંધ થવાથી યુવાનો નારાજ
અત્રે નોંધનીય છે કે, કોરોનાકાળના કારણે કેનેડામાં અઢળક શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઇ ગઇ છે અને તેના કારણે પંજાબીઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક અંદાજ મુજબ કોરોનાકાળના લીધે યુવાઓના 9 થી 12 લાખ રૂપિયા ધૂળમાં મળી ગયા છે. એટલા માટે યુવાઓ દ્વારા ભારત સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે, તેમના નાણાં પરત કરવામાં આવે.
અમૃતસરમાં યુવાઓએ કર્યું પ્રદર્શન
થોડા દિવસ પહેલાં જ કેનેડામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઇ જવાના કારણે ભારત પરત ફરેલા અનેક યુવાનોએ રણજિત એવન્યુમાં એક ખાનગી સંસ્થાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તેમણે કહ્યું કે, તેમણે 12 લાખ રૂપિયા ખર્ચ કરીને કેનેડાની સંસ્થાઓમાં અરજી કરી હતી, પરંતુ સંસ્થાઓ બંધ થઇ અને તેના કારણે તેમણે પાછા આવવું પડ્યું હતું. હવે તેમને તેમના પૈસા પાછા આપવા જોઈએ જેથી, તે દેશમાં જ રહીને પોતાનો અભ્યાસ આગળ વધારી શકે.