અમદાવાદઃ રાજ્યસભાની ખાલી પડેલી બે પૈકી બીજી બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે મહેસાણાના ઠાકોર સમાજના નેતા જુગલલોખંડવાલા (ઠાકોર)ની પસંદગી કરી છે. જુગલ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે અને પોતે ઠાકોર સમાજના મૂક સેવક અને દાનેશ્વરીની છાપ ધરાવે છે.
ભાજપના સૂત્રોએ પ્રમાણે, જૂગલ લોખંડવાલા મૂળે ભાજપના પાયાના કાર્યકર્તા છે અને પ્રદેશના ઓબીસી મોરચામાં મંત્રી તરીકે કાર્યરત છે. તેઓએ ક્યારેય કોઇ માંગ કરી નથી પરંતુ પક્ષના આદેશોનું તેઓ પાલન કરતા આવ્યા હોવાથી તેમની વફાદારીનો આ રીતે બદલો આપવામાં આવ્યો છે.
અલ્પેશ ભાજપમાં જોડાવવાના નામે કોઈ ભેદી રમત રમતો હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. આવાં સંજોગોમાં તેને મોટો કરવાને બદલે પાર્ટીએ પોતાના જ કાર્યકર્તાને અલ્પેશ ઠાકોરની સામે જવાબ તરીકે ઉતારવાનું પસંદ કર્યું છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
રાજ્યસભાની બે ખાલી પડેલી બેઠકો માટે યોજાઇ રહેલી પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ તરફથી પહેલા ઉમેદવાર તરીકે કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરનું નામ પહેલેથી જ નક્કી હોવાથી તેમના પ્રતિનિધી તેમનું નામાંકન રજૂ કરશે. જ્યારે બીજા ઉમેદવાર પણ આ સાથે જ સવારે 11 વાગ્યે પોતાનું નામાંકન દાખલ કરશે. કોંગ્રેસ પણ એક ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી વકી છે. આ ચૂંટણી માટે મતદાન ગુજરાત વિધાનસભામાં પાંચમી જૂલાઇના રોજ યોજાશે.