ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં ઈટાવા રોડ પર થોડાં દિવસ પહેલાં રેતી ભરેલું ડમ્પર કાર પર પડ્યું હતું. આ ઘટનામાં કાર ચાલક કરન કુમાર, પત્ની કમલેશનું મોત થયું હતું. બંનેના લગ્ન ત્રણ મહિના પહેલાં જ થયા હતા. પતિ કરન કુમાર પત્ની સાથે સાસરે જતો હતો. બંનેને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે મોત તેમની આ રીતે રાહ જોઈ રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ બંને પરિવારના સભ્યો આક્રંદ કરવા લાગ્યા હતા. પરિવારના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ડમ્પરની નીચે કાર પડીકાની માફક વળી ગઈ હતી. કારને કટરથી કાપીને બંને લાશો કાઢવામાં આવી હતી. ડમ્પરમાં બેઠેલાં બે લોકો ઘાયલ થયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડમ્પલ ચાલક ફરાર છે.
લખનઉમાં રહેતા બટેશ્વરી લાલ બઘેલની પુત્રી કમલેશના લગ્ન 28 નવેમ્બર, 2021ના રોજ થયા હતા. કમલેશ આગ્રાની એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. કરન કુમાર શિક્ષક ભરતીની તૈયારી કરતો હતો. બંને કારથી લાખનમઉ જતા હતા. કુચેલા ત્રણ રસ્તા આગળ આ ઘટના બની હતી અને બંનેના મોત નીપજ્યા હતા. કરન કુમારના પિતા સૌરાજ સિંહ વકીલ છે. ઘટનાની જાણ થતાં તેમની સાથે અન્ય વકીલો પણ આવ્યા હતા.
અડધો કલાક ટ્રાફિક જામ રહ્યોઃ મૈનપુરી ઈટાવા રસ્તો ઘટનાને કારણે અડધો કલાક સુધી જામ રહ્યો હતો. બંને બાજુ વાહનોની લાંબી લાઇન લાગી હતી. વાહન ચાલકો અડધો કલાક સુધી જામમાં ફસાયેલા રહ્યા હતા. સીઆરપીએફના જવાનો તે સમયે રસ્તા પરથી જતા હતા, ટ્રાફિક જામ જોતાં જ તેમણે ટ્રાફિકને કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
સૌરાજ સિંહ ગામ ભગવંતપુરમાં રહે છે. તેમણે બાળકોના અભ્યાસ માટે આગ્રા રોડ પર મકાન બનાવ્યું છે. મોટો પુત્ર દેવવૃત ગાઝિયાબાદની એક કંપનીમાં મેનેજર છે. એક માત્ર પુત્રી બબલી કાસગંજમાં ટીચરની નોકરી કરે છે.
કારને કટરથી કાપવામાં આવીઃ સીઓ સિટી અમર બહાદરુ સિંહે કહ્યું હતું કે ઘટનાની જાણ થતાં તરત જ પોલીસ પહોંચી ગઈ હતી. જેસીબી મગાવવામાં આવ્યું હતું. કટરથી કાર કાપ્યા બાદ લાશો કાઢવામાં આવી હતી અને કાટમાળ જેસીબીથી હટાવવામાં આવ્યો હતો.