લખનઉ: લોકસભા ચૂંટણી પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે પોલીસબેડામાં મોટા ફેરફારો કર્યા છે. તેમણે શુક્રવાર રાત્રે 25 આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે. જે અંતર્ગત રામપુરના એસપી શિવહરિ મીણાની બદલી કરી નાંખવામાં આવી છે. તેમની જગ્યાએ એકાઉન્ટર મેનથી જાણીતા ડૉ. અજય પાલ શર્માને સપા સાંસદ આજમખાનના ગઢ રામપુરમાં એસપી બનાવી મોકલવામાં આવ્યા છે.
9 મહિનામાં 150થી વધુ એન્કાઉન્ટર
ડૉ. અજયપાલ શર્મા યુપીમાં એન્કાઉન્ટર મેનથી જાણીતા છે. પ્રયાગરાજમાં પોસ્ટિંગ પહેલા તેઓ નોઈડામાં હતા. અહીં પોતાના 9 મહિનાના કાર્યકાળમાં તેમણે 150થી વધુ એન્કાઉન્ટરમાં 100થી વધુ ગુંડાઓને હોસ્પિટલ ભેગા કર્યા હતા.
આ ઉપરાંત તેમણે બોગસ કૉલ સેન્ટર્સ પર પણ સખત કાર્યવાહી કરી હતી. જેમાં તેમણે એક વખતમાં સૌથી વધુ 127 કૉલ સેન્ટર કર્મચારીઓની ધરપકડ કરી હતી. એટલું જ નહીં નોઈડામાં તેમણે ઘણા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરી હતી.