કેનેડામાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદના 19 વર્ષના વર્સિલ પટેલના મૃતદેહને ભારત પરત લાવવા માટે લોકોએ ઉદારતા દાખવતા મોટી રકમ દાન કર્યું હતુ. વર્સિલના મૃતદેહને ભારત પરત લાવવા માટે 30 હજાર કેનેડિયન ડોલર એટલે કે આશરે 18.61 લાખ રૂપિયાની જરૂર હતી.
ક્રાઉડ ફંડિંગમાં લોકોના દાન થકી 42 હજાર કેનેડિયન ડોલર એટલે કે 26.37 લાખ રૂપિયા એકઠા થઈ ગયા છે. જે બાદ ક્રાઉડ ફંડિંગને બંધ કરાયું છે. એકઠી થયેલી રકમ વર્સિલના મૃતદેહને ભારત મોકલવા અને તેની અંતિમ ક્રિયા પાછળ ખર્ચ કરાશે તેવું વર્સિલના ભાઈ રાજન પટેલે જણાવ્યું હતુ.
શું છે સમગ્ર ઘટના?
અમદાવાદનો વર્સિલ પટેલ નામનો 19 વર્ષિય યુવક હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયો હતો. 19 વર્ષિય વર્સિલ પટેલ કેનેડાના ઓન્ટારિયો પ્રોવેન્સના બેરી શહેરમાં રહેતો હતો. વર્સિલ પટેલ સર્કલ કે કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરતો હતો. તે 21 જુલાઈ રોજ દરરોજની જેમ ચાલીને નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે એક કારે તેને ટક્કર મારી હતી. રોડ અકસ્માતમાં વર્સિલ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો કારચાલકની પોલીસે ધરપકડ કરી હતી.
મૃતદેહને ભારત લાવવા શરૂ કરાયું હતું ક્રાઉડ ફંડિંગ
જે બાદ વર્સિલના મૃતદેહને ભારત લાવવા માટે 30 હજાર કેનેડિયન ડોલર એટલે કે આશરે 18.61 લાખ રૂપિયાની જરૂર હતી. જેથી વર્સિલના કઝિન તરીકે પોતાની ઓળખ આપનાર રાજન પટેલે ‘ગોફંડમી’ વેબસાઈટ પર ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું હતુ. જેમાં લોકોને દાન આપવા વિનંતી કરાઇ હતી.
ત્યાર બાદ લોકોએ ક્રાઉડ ફંડિંગમાં દાન કરવાનું શરૂ કર્યું હતું. ક્રાઉડ ફંડિંગ દ્વારા 26.37 લાખ રૂપિયા એકત્ર થયા છે. જેનો ઉપયોગ વર્સિલનો મૃતદેહને કેનેડાથી ભારત લાવવા અને અંતિમ ક્રિયા પાછળ થશે. બાકીની રકમ વર્સિલના પિતાના બેંક અકાઉન્ટમાં જમાં કરાવી દેવાશે.