ઝાંસી : ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદનો પુત્ર અસદ આજે ઉત્તર પ્રદેશમાં સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ સામેના એન્કાઉન્ટરમાં અહીં માર્યો ગયો છે. આ અહેમદ વકીલ ઉમેશ પાલની હત્યામાં ‘વૉન્ટેડ’ હતો અસદની સાથે તેનો સાથી ગુલામ પણ તે એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે તે બંને ઉપર રૃા. ૫ લાખનું ઇનામ પણ જાહેર કરાયું હતું. આ બંને આરોપીઓના એન્કાઉન્ટરમાં મૃત્યુ થયા પછી તેમના મૃતદેહો પાસેથી વિદેશી બનાવટના શસ્ત્રો પણ મળી આવ્યા છે.
અતીક અહેમદ ઉપર પ્રયાગ રાજની કોર્ટમાં કેસ ચાલતો હતો તે દરમિયાન તેને આ સમાચાર પહોંચાડવામાં આવ્યા હતા. તે સર્વવિદિત છે કે અતીક અહેમદને અમદાવાદની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો જ્યારેે તેના ભાઈ અશરફને બરેલીની જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો.
તે સર્વવિદિત છે કે ૨૦૦૫માં બહુજન સમાજપાર્ટીના વિધાયક રાજુપાલની હત્યા કરવામાં આવી ત્યારે ઉમેશ પાલ સાક્ષી હતો રાજુ પાલની હત્યામાં અહમદ એક આરોપી હતો.
તા. ૨૪ ફેબ્રુઆરીએ ઉમેશ પાલ તેના બે સલામતી રક્ષકો સાથે પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે જ તેની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલના પત્ની જયા પાલે અહમદ અશરફ અને તેમના કુટુંબીજનો તથા અન્યો સામે તા. ૨૫મીએ એફઆઇઆર દાખલ કરી હતી જેને પગલે પોલીસ તેનો પીછો કરી રહી હતી. છેવટે એક એન્કાઉન્ટરમાં અસદ અને તેનો સાથી માર્યા ગયા હતા.
અતીકે તેની પત્નીને કહ્યું હતું- પુત્રએ સિંહ જેવું કામ કર્યું છે
ઉમેશ પાલ હત્યામાં અસદનું નામ અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ શાઇસ્તાએ અતીક અહેમદ સામે નારાજગી વ્યક્ત કરી હતી. રડતાં રડતાં કહ્યું હતું કે અસદ હજુ બાળક છે. તેને આ મામલામાં લાવવો જોઈતો નહોતો. આ સાંભળીને માફિયા ડોન અતીક અહેમદ ગુસ્સે થઈ ગયો.
ઉમેશ હત્યા કેસમાં અત્યાર સુધીમાં 4 એન્કાઉન્ટર
24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં થયેલા ઉમેશ પાલ હત્યા કેસમાં યુપી પોલીસે અત્યાર સુધીમાં 4 એન્કાઉન્ટર કર્યાં છે. અગાઉ પ્રથમ એન્કાઉન્ટર પ્રયાગરાજમાં 27 ફેબ્રુઆરીએ અરબાઝનું થયું હતું. અરબાઝ ક્રેટા કાર ચલાવી રહ્યો હતો, જેના દ્વારા બદમાશો ઉમેશ પાલના ઘરે પહોંચ્યા. અસદ પણ એમાં હતો.