કોરોના પછી હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. ચિંતાની બાબત એ છે કે, હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. પાટીદાર અગ્રણી કલ્પેશ તંતીના નિધનથી લેઉવા પાટીદાર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આમ, માત્ર 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એક યુવાને જીવ ગુમાવ્યો હતો.
ભગવાનની પૂજા કરતા સમયે આવ્યું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના નાના મવા રોડ પર શ્રીરાજ રેસિડન્સીમાં 46 વર્ષીય કલ્પેશભાઈ તંતી પરિવાર સાથે રહેતા હતા. તેઓ તુલસીપત્ર બંગલોમાં રહે છે. ગઈકાલે સાંજે પોણા આઠ વાગ્યાની આસપાસ તેઓ બંગલોના બીજા માળે ભગવાનની સાંજની પૂજા કરવા ગયા હતા. પરંતું લગભગ અડધા કલાક સુધી તેઓ નીચે આવ્યા ન હતા. તેથી પરિવારજનોએ તેમને નીચેથી બૂમો પાડી હતી, પરંતુ કોઈ જવાબ આવ્યો ન હતો. તેથી તેઓ ઉપર જોવા ગયા, તો કલ્પેશભાઈ જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
હોસ્પિટલમાં પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કલ્પેશભાઈના નિધનથી લેઉવા પાટીદાર સમાજમાં શોક ફેલાઇ ગયો હતો. તેઓ પ્રસિદ્ધ ખોડલધામ મંદિરમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા.
કલ્પેશભાઈને 18 વર્ષનો દીકરો અને 15 વર્ષની દીકરી છે. તેઓ રાકોડના સડક પીપળઆયા પાસે પોલીમરનું કારખાનુ ધરાવે છે. તેમજ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. ત્યારે તેમના આકસ્મિક નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે